આઝાદ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી બે દિવસ
વાપી-વલસાડમાં થનાર છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: આગામી 15 ઓગસ્ટે 77મો આઝાદ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ-વાપીમાં થનારી હોવાથી વહિવટી તંત્ર આળસ ખંખેરી એકશન મોડમાં આવી ચૂક્યું છે. કારણ કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર દ્વારા વલસાડથી વાપી સુધી હાઈવેના ખાડા અને રોડ મરામતની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દીધી છે.
ચાલુ ચોમાસામાં ભૂતકાળના તમામ રેકર્ડ તોડી ધોધમાર વરસાદ વલસાડ જિલ્લામાં પડયો છે. જેને લઈ જિલ્લામાંથી પસાર થતો હાઈવે અને આંતરિક રોડની બારે તારાજી સર્જાઈ ચૂકી છે. આગામી 15મી ઓગસ્ટ આઝાદ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ-વાપીમાં થવાની હોવાથી મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેબિનેટ મંત્રી સહિત હજારો આમંત્રિત ઉપસ્થિત રહેવાના છે તેથી પીડબલ્યુડી અને હાઈવે ઓથોરિટી અચાનક એકશનમાં આવી ચૂકી છે. વલસાડથી વાપી, ખડકી, પારડીના હાઈવે પરના ખાડા પુરવાની અને મરામતની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દીધીછે. લોકો ઈચ્છી રહ્યા છે કે મુખ્યમંત્રી દર અઠવાડીયે વલસાડ જિલ્લામાં આવવા જોઈએ જેથી રોડોની હાલત તો સુધરી જાય.