વાસોણા લાયન સફારી ખાતે વડોદરાના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી અશોક નામના સિંહ અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી મીરા નામની સિંહણને લવાતા હવે ફરી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો વધશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાસોણાના લાયન સફારીએ સિંહ નહીં હોવાથી પોતાનું આકર્ષણ ગુમાવી દીધું હતું. પરંતુ હવે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરાથી અશોક નામનો સિંહ અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી મીરા નામની સિંહણને વાસોણા લાયન સફારી ખાતે લાવવામાં આવતાં હવેપ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે અને સિંહ-સિંહણની દહાડથી વાતાવરણ પણ ગુંજી ઉઠશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન સહિત સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં માનતા નથી. જે કડીમાં સેલવાસ નજીક વાસોણા ખાતે 20 હેક્ટરમાં ફેલાયેલા લાયન સફારી ખાતે બે સિંહ યુગલને લવાતા હવે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત હજારો પ્રવાસીઓને ખુલ્લામાં ફરતા સિંહોના નજીકના નજારાનો અનુભવ કરવાનો લ્હાવો મળશે.
ચોમાસા સિવાય આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેતુ વાસોણા લાયન સફારી પાર્કમાં મુલાકાતીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા વાહનમાં સફારીની શેર કરાવવામાં આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમાં નજીકથી નિહાળી શકાય.
વાસોણા લાયન સફારીમાં બાળકો માટે રમત ગમતના સાધનો પણ ઉપલબ્ધ છે અને અગામી 6 જાન્યુઆરીથી સિંહ-સિંહણની જોડીને કુદરતી વાતાવરણમાં જોવાનો લ્હાવો પ્રવાસીઓને મળી શકશે.