ફાયર એન.ઓ.સી. ક્યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ?
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્તારમાં પાલિકા અધિકારીઓએ જે મિલકતો પાસે ફાયર એન.ઓ.સી. નહોતી તેવી મિલકતો અચાનક સીલ મારવાનું અભિયાન ચલાવ્યું. જેના ઘેરા પ્રત્યાઘાત મિલકત ધારકોમાં પડયા છે. કારણ કે નોટિસ આપ્યા વગર જ મિલકતો સીલ કરી દેવાનું શુરાતન કેમ ચઢયુ તેનો જવાબ આપવા અધિકારીઓને ફુરસદ જ નથી.
આ ઘટના પરિપેક્ષમાં મુળ કારણ જે જાણવા મળ્યું છે એ છે કે અમદાવાદમાં આગનીમોટી દુર્ઘટના ઘટી એટલે સરકારે તાત્કાલિક પરિપત્ર બહાર પાડી દીધો. સરકાર પણ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે સુરત તથશીલા અને અમદાવાદની હોસ્પિટલમાં આગના મોટા બે બનાવો બન્યા બાદ તાત્કાલિક અસરથી જે તે ટાઈમે ફાયર એન.ઓ.સી. ફરજીયાત કરી દેવાઈ હતી તે પછી નાટકીય અમલવારી થઈ પછી જે તે પાલિકા અને મહાનગરપાલિકા વાળા મીઠી નિંદરે ચઢી ગયા હતા. હવે ફરી અકસ્માત બાદ ફરી નવો પરિપત્ર ફાયર એન.ઓ.સી.નો આવતા વાપી, વલસાડની પાલિકાઓ એન.ઓ.સી. વગરની મિલકતો સીલ કરવાની પવન વેગી કાર્યવાહી શરૂ કરી દીધી. મિલકત ધારકોને નોટિસો પણ ફળવાઈ નથી તેવુ મિલકત ધારકો હાલ પણ કકળાટ કરી રહ્યા છે.