બાળકની બલી ચડાવવામાં આવી હોવાની ફેલાયેલી ખબરની પણ એસ.પી.ને આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી એસ.ટી.મોરચાના પદાધિકારીઓ દ્વારા સાયલી ગામના બાળક ચૈતા ગણેશ કોલ્હાની નિર્મમ હત્યા સંદર્ભે એસ.પી.ને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગત 29 ડિસેમ્બરના રોજ બાળક ગુમ થયો હોવાની ફરિયાદ એમના પરિવારે સેલવાસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. ત્રણ દિવસ બાદ સાયલીથી ગુજરાતમાં જતી દમણગંગા નહેરમાંથી વગર માથાની અને પગ વગરની બાળકની લાશ મળતા ગુજરાત પોલીસે દા.ન.હ. પોલીસને જાણ કરી હતી. સેલવાસ પોલીસે પણ બાળકનું માથું અને પગ સાયલી સ્મશાનમાંથી મળવાના સમાચાર છે. આ બાળક આદિવાસી વારલી સમાજનો છે અને એમના પરિવારની કોઈની સાથે કોઈ જ અદાવત કે દુશ્મની નથી. લોકોમાં નિર્દોષ બાળકની કોઈ ગુનેગાર અને તાંત્રિક દ્વારા બલી ચડાવી હોવાની વાતો બહાર આવી રહી છે. આ ઘટના અત્યંત ઘૃણાસ્પદ અને અમાનવીય અને જાણી જોઈને કરવામાં આવેલ ઘણો ગંભીર ગુન્હો છે.
એસ.ટી. મોરચાના પ્રમુખ શ્રી રમેશભાઈ કડુ અને એમની ટીમેઆ ઘટનાની ન્યાયપૂર્ણ પોલીસ તપાસ અને ઘટનામાં સામેલ દરેક લોકોની ધરપકડ કરી ન્યાયિક કાર્યવાહી માટે માંગ કરી છે અને આરોપીને સખતમાં સખત સજા મળે એના માટે પોલીસ દ્વારા દરેક રીતે યોગ્ય અને જલ્દી કાર્યવાહી કરવામાં આવે.