(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : સેલવાસના ડોકમરડી ચાર રસ્તા ખાતે હાલ રીંગરોડનો ઓવરબ્રિજ બની રહેલ છે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનની નજીકથી પસાર થતો હોય ઘોંઘાટના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી છે. જેથી વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નવી જગ્યા ફાળવી શાળાનું મકાન બનાવવા તેમજ ઓવરબ્રિજના કારણે જેમના ઘરો, ફલેટ અને દુકાનો તૂટે છે અને જમીન ગુમાવી રહ્યા છે તેઓને તાત્કાલિક વળતર આપવા માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીનેલેખિત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ડોકમરડી ખાતેના રીંગરોડ સ્થિત ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ઘણાં લોકોના ઘરો, ફલેટ અને દુકાનો તૂટી રહી છે અને જમીનો પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. સાથે સાથે આ ઓવરબ્રીજનો રોડ ડોકમરડીમાં ચાલતી પ્રાથમિક અને માધ્યમિક શાળાની બિલ્ડીંગની નજીકથી પસાર થઈ રહ્યો છે. જૂની શાળા અને શાળાની કમ્પાઉન્ડ વોલ પણ હાલના સમયે તોડી નાખવામાં આવેલ છે. બન્ને શાળા મળીને કુલ 424 જેટલા બાળકો હાલમાં અહીં અભ્યાસ કરે છે. રોડ શાળાની નજીકથી પસાર થતો હોવાથી વાહનોની અવરજવરથી ખુબ જ ઘોંઘાટ થાય છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ખલેલ પડવાની સંભાવના છે, તેમજ વિદ્યાર્થીઓ માટે રમત ગમત કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ કે ધ્વજવંદન કરવા પણ નહિવત પ્રમાણમાં જગ્યા રહી છે.
શ્રી સુમનભાઈ પટેલે તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, શાળામાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાનું નવું મકાન અન્ય જગ્યાએ બનાવવા માટે અરજ કરીએ છીએ, આ અગાઉ પણ આ સમસ્યાના નિવારણ માટે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી ચુકી છે. સાથે ડોકમરડીના ગ્રામજનોનું જે પણ નુકસાન થાય કે જમીન ગુમાવવાનો વારો આવી રહ્યો છે તેઓ રીંગ રોડમાં જમીન અગાઉ આપી ચુક્યા છેઅને હવે પાછી જમીન અને ઘરો, દુકાનો તથા ફલેટ બ્રિજ નિર્માણના કારણે તૂટી રહ્યા છે, તેથી વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તો તેમના નુકસાનીનું વળતર આપવામાં આવે જેથી તેઓ અન્ય જગ્યાએ જઈ શકે અને બીજું ઘર બનાવી શકે એવી ન.પા. સભ્ય શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરી છે.