(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.26 : દેશની રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્ય મંથન-2023’માં જન આરોગ્યના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યો અને ફલેગશીપ યોજનાઓમાં આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાન માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવને કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં બે પુરસ્કારો પ્રાપ્ત થતાં ફરી એકવાર પ્રદેશની આરોગ્ય સેવાનો રાષ્ટ્રીય સ્તરે જયઘોષ થયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમાજના છેવાડેના વ્યક્તિ સુધી ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા પ્રદાન કરવાના સંકલ્પને સાકાર કરવા સંઘપ્રદેશ પ્રશાસને પોતાની તમામતાકાત લગાવી છે. જેના પરિણામે પ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરાયેલા કામોની સમય સમય ઉપર રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પણ થઈ છે. જે કડીમાં આજે ફરી એકવાર કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ઓક્ટોબર-2022થી સપ્ટેમ્બર-2023 સુધી 3.4 લાખથી વધુ ‘આભા’ આઈ.ડી.ને ડિજિટલ આરોગ્ય રેકોર્ડ સાથે જોડવા બદલ બીજો પુરસ્કાર મળ્યો છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દરેક 436 ફરિયાદોને 24 કલાકની અંદર નિવારણ કરાતા કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે પ્રશાસન દ્વારા કરવામાં આવેલ ઝડપી કાર્યવાહીની સરાહના કરી પ્રદેશને પ્રશંસા પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. આ બંને પુરસ્કારો ભારત સરકારના રાજ્યમંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ દ્વારા આપવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં પ્રશાસન જન આરોગ્ય સુવિધાઓનો જન જન સુધી સરળતાપૂર્વક પહોંચાડવા કટિબધ્ધ હોવાની સાથે પ્રદેશ દિન-પ્રતિદિન વિકાસની નવી ઊંચાઈ પણ સર કરી રહ્યો છે.