સમિતિના પૂર્વ પ્રમુખ બિમલેશ તિવારી અને ઈશ્વરચંદ્ર પાંડેએ મંદિરની જમીનના દસ્તાવેજમાં નામ બદલી બેંક ખાતામાંથી રૂપિયા હડપી કરેલી છેતરપિંડી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી બ્રાહ્મણ સેવા સમિતિમાં 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ ચોકી સહીત પ્રશાસનિક અધિકારીઓ સુધી પહોંચી છે. આ મામલામાં બિમલેશ રાજમની તિવારી અને ઈશ્વરચંદ્ર પાંડે પર ગંભીર આરોપ લગાવતા એમના વિરુદ્ધ કેસ દાખલ કરી ન્યાય અપાવવાની માંગ સમિતિના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના એસ.પી., સેલવાસ પોલીસ સ્ટેશન અને આરડીસી સહિત વલસાડ એસ.પી. અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં કરેલી લેખિતફરિયાદમાં જણાવાયું છે કે, દાનહમાં બ્રાહ્મણ સેવા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ડોકમરડી ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ નજીક મંદિર બનાવવાના ઉદ્દેશ્યથી દાનહના અગ્રણી અને સેવાભાવી લોકો પાસેથી લાખો રૂપિયાનું દાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. જેના દ્વારા સમિતિના નામે જમીન ખરીદી કરી પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 જાન્યુઆરીના રોજ અચાનક બિમલેશ રાજમની તિવારીના નામે લાઈટબીલ પ્રાપ્ત થયેલ પરંતુ જમીન બ્રાહ્મણ સેવા સમિતિના નામે લેવામાં આવી હતી. એના પરથી જાણવા મળ્યું કે બિમલેશ તિવારીએ 9 એપ્રિલ 2022ના દિને બ્રાહ્મણ સેવા સમિતિના બેંક ખાતામાં ગરબડ કરી જમીન એગ્રીમેન્ટની સેલ ડીડને રદ્ કરી એ જમીન સનાતન શિવધામ ટ્રસ્ટના નામે કરી દીધી હતી. આ કામ બિમલેશ તિવારીએ એના સહયોગી દાદરા સ્કૂલના પ્રિન્સિપાલ ઈશ્વર ચંદ્ર પાંડે સાથે મળી સમિતિના લોકોને અંધારામાં રાખી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બન્નેએ દાનહ બ્રાહ્મણ સેવા સમિતિના બેંક ખાતામાં જમા ધનરાશિને ઉપાડી લઈ સમિતિના પદાધિકારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડતાં 18 માર્ચના રોજ બ્રાહ્મણ સેવા સમિતિ દ્વારા આપાતકાલીન બેઠક બોલાવી હતી જેમાં સમિતિના પૂર્વ પ્રમુખ બિમલેશ તિવારી અને ઈશ્વરચંદ્ર પાંડેએસંસ્થાનો હિસાબકિતાબ આપ્યો ન હતો. સંસ્થા દ્વારા ખરીદવામાં આવેલ જમીનનું પેમેન્ટ પંજાબ નેશનલ બેંક સેલવાસના ખાતામાંથી કરવામાં આવ્યા બાદ બેંકમાં શ્રી સનાતન શિવધામ ટ્રસ્ટના નામે નોટરી આપી બ્રાહ્મણ સેવા સમિતિની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાથી સમાજના વરિષ્ઠ લોકોની ઉપસ્થિતિમાં નિર્ણય લઈ બિમલેશ તિવારીને તાત્કાલિક પ્રભાવથી બરખાસ્ત કરી એની જગ્યા પર નવા અધ્યક્ષ અને પદાધિકારીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
સમિતિના લોકોનું કહેવું છે કે બિમલેશ તિવારી અને એના સાથીએ મંદિરની જમીનના દસ્તાવેજમાં નામ બદલી બેંક ખાતામાંથી રૂપિયા હડપી છેતરપિંડી કરી છે. જેથી બ્રાહ્મણ સેવા સમિતિ દ્વારા દાનહ અને વલસાડ પોલીસ અને સંઘપ્રદેશ પ્રશાસનને લેખિત ફરિયાદની સાથે જરૂરી દસ્તાવેજો આપી બ્રાહ્મણ સેવા સમિતિના પ્રમુખ બિમલેશ તિવારી અને ઈશ્વરચંદ્ર પાંડે વિરુદ્ધ અંદાજીત 75 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી બ્રાહ્મણ સેવા સમિતિના પદાધિકારીઓએ ન્યાય માટે માંગ કરી છે.