(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે કાર્યરત મચ્છરે રેફ્રિજરેશન પ્રોડક્ટ પ્રા. લિ. કંપનીએ કમ્પાઉન્ડ કરી આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર કબજો કરેલો હોવાની રાવ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કરવામાં આવેલી છે. ફરિયાદી શ્રી ઠાકુરભાઈ ધોડીએ એમના કુટુંબીજનોની માલિકીની જમીન સર્વે નંબર 64 પૈકી 3 જૂનો (સર્વે નંબર 476 નવો) પર બિન અધિકળત રીતે કંપનીએ કબજો કરેલાની ફરિયાદ ગત તારીખ 12/5/22 ના રોજ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ તપાસમાં અધિકારીઓ ઈરાદાપૂર્વક ઢીલીનીતિ અપનાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું.
ફરિયાદીની મામલતદાર કચેરીએ વારંવારની મુલાકાત બાદ લગભગ 15 દિવસ પહેલા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને સ્ટેટમેન્ટની પ્રક્રિયા બાદ સર્વે અધિકારી શ્રી નિલેશભાઈ મકવાણાની બદલી થઈ જવા પામી છે. જેના કારણે ફરી તપાસની કાર્યવાહી મંદ પડી જવા પામી છે. આમ ફરિયાદીઓને ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ જોતા આરોપીઓને પરોક્ષ રીતે મદદ મળી રહ્યી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. જેથી ફરિયાદીઓની ધીરજ ખૂટતા બે દિવસ પહેલા આદિવાસી યુવા નેતા એડવોકેટ શ્રી મિતેશભાઈ પટેલ અનેફરિયાદી શ્રી ઠાકોરભાઈ પટેલે કલેક્ટર ક્ષીપ્રા આગ્રેની રૂબરૂ મુલાકાત કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ આજદિન સુધી ન્યાય માટે મામલતદાર કચેરીની કરવામાં આવેલી વારંવારની મુલાકાત અને અધિકારીઓએ તપાસ માટે આપેલા વાયદાની વિગતવાર માહિતી રજૂ કરી હતી. કલેકટર સાથેની આ મુલાકાત બાદ ફરિયાદીની રજૂઆતને તાત્કાલિક અસરથી ન્યાય મળે એ રીતે ફાઈલને ટેબલ ઉપર રજૂ કરવા તપાસ કરનાર અધિકારીઓને કલેકટરે આદેશ કર્યો છે. જેથી હવે ન્યાય મળવામાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે.
આ અગાઉ મલાવ ખાતે કાર્યરત મચ્છરે રેફ્રિજરેટર પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આદિવાસીઓની જમીન પર બિનઅધિકળત રીતે કબજો કર્યા બાદ મલાવ ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી ડોકયુમેન્ટ રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ કંપનીએ ગ્રામ પંચાયતની નોટિસને અવગણવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ કલેકટરશ્રીના દરબારમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ સાથે ફરિયાદીએ જમીનની માલિકી હક દર્શાવતા તમામ પુરાવા નકશા સહિત રજૂ કરેલા છે. જ્યારે બીજી તરફ કંપનીએ પણ એમણે રજૂ કરેલા નકશામાં આદિવાસીઓની માલિકીની જમીનનો સર્વે નંબર સમાવેશ કરી દીધો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આમ ઘટના સ્થળે સ્થળ નિરીક્ષણકરતા ફરિયાદીની ફરિયાદ સાચી સાબિત થવાની શકયતા પૂરેપૂરી જણાઈ રહી છે. હવે આ ઘટનામાં ચાલુ કરેલી તપાસમાં ગતિ આવે અને આદિવાસીઓને તાત્કાલિક ન્યાય મળે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.