દાદરા નગર હવેલીના દરેક રાજકીય પક્ષો, સાંસદ, જિ.પં. અને ન.પા. પ્રમુખ સહિતના તમામ લોક પ્રતિનિધિઓ તથા જિલ્લા પ્રશાસનને પણ શહિદ દિવસે પૂજ્ય બાપુની પ્રતિમાની ભાળ કાઢવાનો સમય નહીં મળ્યો..!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે સત્ય-અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે દાદરા નગર હવેલીમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી જેવી વિવિધ રાજકીય પાર્ટીઓ તથા સાંસદ, જિલ્લા અને નગરપાલિકા અધ્યક્ષ સહિતના લોક પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ અને પ્રશાસન દ્વારા આજે ગાંધી બાપુ ભૂલાયા હોવાનું દેખાતું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસમાં ડિમોલીશન કરાયેલા જૂના ટાઉન હોલ અને બાજુમાં આવેલ સચદેવ બાલ ઉદ્યાન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાસ્થાપિત કરવામાં આવેલ છે. બાલ ઉદ્યાન હાલમાં બંધ છે, પરંતુ અહીં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાર-સંભાળ વગર ધૂળ ખાઈ રહી છે. આજુબાજુ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે અને જવાબદારો દ્વારા તેની સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી.
વર્ષોથી ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિવસ કે સ્વચ્છતા અભિયાન દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળ નતમસ્તક પ્રણામ કરી સૂતરની આંટી ચડાવવાનો શિરસ્તો હતો. પરંતુ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની આજુબાજુ જંગલી વનસ્પતિ, ઘાસ ઉગી નીકળવાની સાથે પ્રતિમા ઉપર પણ ધૂળ ચોંટેલી દેખાય છે ત્યારે રાષ્ટ્રપિતાની પ્રતિમાની જાળવણી કરવા માટે પણ આપણે તમામ નાગરિકો અને પ્રશાસન નિષ્ફળ ગયું હોવાનું લાગે છે. આ ભૂલ વહેલી તકે સુધારી આ પ્રતિમાની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તેવી વ્યાપક લોક લાગણી છે.