હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટસ અથવા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ જાહેરનામું દાખલ કરવાની અને ડેકલેરેશનને પ્રમાણિત કરવાની જરૂર રહેશે નહીં
(વર્તમાન ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.21: એક ઐતિહાસિક નિર્ણયમાં, લોકસભાએ આજે પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલ, 2023 પસાર કર્યું છે, જેમાં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, 1867ના સંસ્થાનવાદી યુગના કાયદાને રદ્ કરવામાં આવ્યો છે. ચોમાસુ સત્રમાં રાજ્યસભા દ્વારા આ બિલ પસાર થઈ ચૂક્યું છે.
નવો કાયદો – ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયડિકલ્સ બિલ, 2023 કોઈપણ ભૌતિક ઈન્ટરફેસની જરૂરિયાતવિના ઓનલાઈન સિસ્ટમ દ્વારા સામયિકોના શીર્ષક અને નોંધણીની ફાળવણીની પ્રક્રિયાને સરળ અને સમકાલીન બનાવે છે. આનાથી પ્રેસ રજિસ્ટ્રાર જનરલ આ પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવી શકશે, જેથી પ્રકાશકો, ખાસ કરીને નાના અને મધ્યમ પ્રકાશકોને પ્રકાશન શરૂ કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે તે સુનિヘતિ થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રકાશકોએ હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટસ અથવા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ જાહેરનામું દાખલ કરવાની અને આવી ઘોષણાઓને પ્રમાણિત કરવાની જરૂર રહેશે નહીં. તદુપરાંત, પ્રિન્ટિંગ પ્રેસને પણ આવી કોઈ જાહેરાત રજૂ કરવાની જરૂર રહેશે નહીં; તેને બદલે ફક્ત એક જ માહિતી પૂરતી હશે. સમગ્ર પ્રક્રિયામાં હાલમાં 8 પગલાઓ શામેલ છે અને નોંધપાત્ર સમયનો વપરાશ થાય છે.
લોકસભામાં આ ખરડો રજૂ કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘બિલ ગુલામીની માનસિકતાને દૂર કરવા અને નવા ભારત માટે નવા કાયદા લાવવા તરફ મોદી સરકારના વધુ એક પગલાને પ્રતિબિંબિત કરે છે.’ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવા કાયદાઓ મારફતે ગુનાખોરીનો અંત આણવો, વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવો એ સરકારની પ્રાથમિકતા છે અને તે મુજબસંસ્થાનવાદી યુગના કાયદાને નોંધપાત્ર રીતે નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કેટલાક ઉલ્લંઘનો માટે, અગાઉની જેમ દોષિત ઠેરવવાને બદલે નાણાકીય દંડની દરખાસ્ત કરવામાં આવી છે. ઉપરાંત પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચેરપર્સનની અધ્યક્ષતામાં એક વિશ્વસનીય અપીલ તંત્રની પણ જોગવાઈ કરવામાં આવી છે. વેપાર વાણિજ્ય સરળ કરવાનાં પાસાં પર ભાર મૂકતાં શ્રી ઠાકુરે કહ્યું હતું કે, ટાઈટલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા, જેમાં કેટલીક વાર 2-3 વર્ષ લાગતાં હતાં, તે હવે 60 દિવસમાં પૂર્ણ થશે.
1867નો કાયદો બ્રિટિશ રાજનો વારસો હતો, જેનો આશય અખબારો અને પુસ્તકોના પ્રિન્ટરો અને પ્રકાશકો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનો હતો તેમજ વિવિધ ઉલ્લંઘનો બદલ જેલની સજા સહિત ભારે દંડ અને દંડનો સમાવેશ થતો હતો. એવું અનુભવવામાં આવ્યું હતું કે, આજના મુક્ત પ્રેસના યુગમાં અને મીડિયાની સ્વતંત્રતાને જાળવવાની સરકારની પ્રતિબદ્ધતામાં, પ્રાચીન કાયદો વર્તમાન મીડિયા લેન્ડસ્કેપ સાથે સંપૂર્ણપણે સુસંગત નથી.