(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા – મજીગામ માઈનોર કેનાલમાં અખબારી અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા કડકાઈ દાખવતા કામની ગુણવત્તામાં સુધારો થવા સાથે પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે.
અંબિકા સબ ડિવિઝન ચીખલી દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે ચાસા અને મજીગામ સબ માઈનોર કેનાલની સપાટીને કોંક્રિટની પાકી બનાવવાનું કામ હાથ ધરાયું હતું. આ દરમિયાન કામની ગુણવતા સામે સવાલો ઉભા થતા તે અંગેના અખબારી અહેવાલ બાદ નાયબ કાર્ય પાલક ઈજનેર જીજ્ઞેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા કામના સ્થળની મુલાકાત વધારી દઈ કામની ગુણવતામાં સુધારો કરવા એજન્સીને સુચના આપી પૂરતી તકેદારી રાખવામાં આવતાં કામની ગુણવત્તામાં સુધારો થવા પામ્યો હતો. આ દરમિયાન સિંચાઈવિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા પાણીનો વેડફાટ અટકવા સાથે છેવાડાના વિસ્તારના ખેતરોમાં પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સાથે ખેડૂતોને તેમના પાકોમાં મોટી રાહત થવા પામી છે.
સરકાર દ્વારા આ રીતે તબક્કાવાર નહેરોની સપાટીને પાકી બનાવતા ખેડૂતોને મોટો લાભ થઈ રહ્યો છે .
ચીખલીમાં અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓની સતર્કતાને પગલે નહેરના ગુણવત્તા યુક્ત કામોથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી દૂર થશે તેમ લાગી રહ્યું છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા દર પંદર દિવસના રોટેશન મુજબ નિયમિતપણે પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.