(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: સમગ્ર શિક્ષણ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્થા (ડાયટ) દમણ દ્વારા દમણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે ‘નિષ્ઠા 3.0′ ઉપર એક દિવસીય રિફ્રેશર તાલીમ કાર્યક્રમ અને મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયટ દ્વારા દમણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે ‘નિષ્ઠા 3.0′ ઉપર એક દિવસીય રિફ્રેશર પ્રશિક્ષણ કાર્યક્રમ અને મૂલ્યાંકનનું દમણની રીંગણવાડા ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 194 શિક્ષકોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડાયટના પ્રિન્સિપાલ શ્રી આઈ.ટી.પટેલે રિફ્રેશરપ્રશિક્ષણ કાર્યક્રમ અને મૂલ્યાંકનમાં ઉપસ્થિત રહેલા પ્રાથમિક શિક્ષકોને સંબોધિત કરતા ‘નિપૂણ ભારત મિશન’ અને ‘નિષ્ઠા 3.0 (એફ.એલ.એન.)’ની બાબતમાં વિસ્તૃત જાણકારી આપી હતી અને ડાયટની લેક્ચરર સુશ્રી સાધના ત્રિપાઠીએ કાર્યક્રમનો ઉદ્દેશ અને હેતુની જાણકારી આપી હતી. ડો. આરાધ્યા શ્રીવાસ્તવે આભારવિધિ આટોપી હતી. ત્યારબાદ શિક્ષકોને ડિલીવરીમાં સરળતા માટે બે વર્ગમાં વિભાજીત કરાયા હતા.
એક વર્ગમાં રિફ્રેશર પ્રશિક્ષણ ડો. આરાધ્યા શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે બીજા વર્ગમાં ડો. અશ્વિની જાધવ અને સુશ્રી સાધના ત્રિપાઠીએ પ્રશિક્ષણનું સંચાલન કર્યું હતું.
આ રિફ્રેશર પ્રશિક્ષણ તાલીમ દરમિયાન પાઠયક્રમોની બહેતર સમજ અને વ્યાખ્યા માટે શિક્ષકોને ‘નિષ્ઠા 3.0′ (એફ.એલ.એન.)ના દરેક 12 મોડયુલોનું ટૂંકમાં વિવરણ આપવામાં આવ્યું હતું. ‘નિષ્ઠા 3.0′ ઉપર શિક્ષક મૂલ્યાંકન બપોરના સત્રમાં યોજવામાં આવ્યું હતું.
પ્રશિક્ષણ સત્ર ડો. આરાધ્યા શ્રીવાસ્તવ, ડો. અશ્વિની જાધવ અને સુશ્રી સાધના ત્રિપાઠી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૂલ્યાંકન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ડાયટની લેક્ચરર ડો. આરાધ્યા શ્રીવાસ્તવ અને સુશ્રી સાધના ત્રિપાઠીએ કર્યું હતું. ડાયટ દમણની ટીમ દ્વારા ‘નિષ્ઠા 3.0′ ઉપર એક દિવસીય રિફ્રેશરપ્રશિક્ષણ સહ મૂલ્યાંકનનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.