સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ રેલવે સ્ટેશને સોમવારે મોડી રાતે બે કરૂણાંતિકા સર્જાઈ હતી. પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ બન્નેના કરુણ મોત નિપજ્યા હતા.
જી.આર.પી. સુત્રો મુજબ સુરત ગોડાદરામાં રહેતો 35 વર્ષિય રીક્ષા ચાલક નંદકિશોર મંડલ વલસાડ કોર્ટ કેસના કામ સારુ સુરતથી આવ્યો હતો. કામ પતાવી રાતે સુરત જવા નિકળેલ ત્યારે સ્ટેશન ઉપર પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વલસાડ મોગરાવાડી હિરા ફેક્ટરી પાસે રહેતો 35 વર્ષિય મિતેશ નરેશભાઈ રાઠોડ રાતે પાટો ક્રોસ કરતા વડોદરા વલસાડ ઈન્ટરસીટી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જી.આર.પી.એ 108 બોલાવીને બન્નેની ડેથબોડી વલસાડ સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી હતી.