વાછરડાઓ પણ દાઝી જવાના કારણે સ્થિતિ ગંભીર: કોઢારમાં સાથે રાખેલઘાસની 400 જેટલી ગાંસડી તથા 500 જેટલી ખાતરની ગુણી બળીને ખાખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે એક ખેડૂતને ત્યાં કોઢારમાં આગ લાગતા 11 ગાયો અને એક ભેસનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અમ્રતસિંહ મોહનસિંહ સોલંકી ઉમરગામ તાલુકાના બોરીગામ રાજપુત ફળિયા ખાતે રહે છે, જેઓ એક ખેડૂત છે અને સાથે પશુપાલનનો ધંધો કરે છે. જેમના ઘરની પાછળના ભાગે પશુઓ માટે કોઢાર બનાવવામાં આવેલ છે. આજે કોઢારના પાછળના ભાગેથી કોઈક કારણસર બપોરે બે વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટના જોતા અમ્રતભાઈના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તમામે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ રૂપ પકડી લીધું હતું. ત્યારબાદ ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી મોરચો સંભાળી લીધો હતો, પરંતુ કોઢારમાં પશુઓ સાથે બાજુમાં ઘાસચારો પણ ભરેલો હતો તેથી ફાયર ફાઈટરો આવે તે પહેલાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. કોઢારમાં ગાયો અને ભેંસોને દોરી વડે બાંધેલ હતી જેના કારણે તેઓ ભાગી શક્યા નહિઅને આગની વિકરાળ જ્વાળાના કારણે 1 ભેંસ અને 11 જેટલી ગાયોના કમકમાભટી ભર્યા મોત થયા હતા. કોઢારમાં નાના વાછરડાંઓ પણ દાઝી ગયા છે, ઉપરાંત અંદર રાખવામાં આવેલ 500 ગુણી ખાતર અને 400 ઘાસની ગાંસડીઓ પણ બળીને ખાખ થઈ જવા પામી હતી.
ફાયરની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી. પરંતુ 1 ભેંસ સહિત 11 જેટલી ગાયોના મોત થતાં પંથક તથા ઉમરગામ તાલુકા સહિત વાપી, સેલવાસ, દમણ વિસ્તારમાં પશુપાલકો તથા આમજનતામાં ભારે દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.