યુથ પાર્લામેન્ટમાં પાંચ વર્ષના પ્રશાસક તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રદેશને પોતાના સુશાસનથી ભય અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની સાથે આર્થિક સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક વૈચારિક ઔદ્યોગિક તથા માળખાગત અને પ્રવાસન ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તન ઉપર મહોર મારતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૩
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની, દમણ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે યુથ પાર્લામેન્ટના સાથીઓ સાથે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પાંચ વર્ષના સુશાસનરૂપી કાર્યકાળમાં પ્રદેશમાં થયેલા આમૂલ પરિવર્તન અને સુરક્ષા સહિતના મુદ્દાઓ ઉપર યુવા પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવ પણ સોંપવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યુવા ટીમને પાર્લામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પ્રદેશના વિકાસમાં યુવાઓની અપેક્ષાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહત્વના સૂચનો પણ આપ્યા હતા. દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે યુથ પાર્લામેન્ટના સહભાગીઓની ટીમે પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો હતો.
અત્રે યાદ રહે કે, પ્રશાસક તરીકે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી પ્રફુલભાઈ પટેલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના અવસર પર તા. ૨૯મી ઓગસ્ટ, ર૦ર૧ના રોજ દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે દમણમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યુ હતું.
યુથ પાર્લામેન્ટમાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, માળખાકીય સુવિધાઓ, પ્રવાસન વિકાસ, કનેક્ટીવીટી, કોરોના સમયગાળા દરમિયાન પ્રશાસનની ભૂમિકા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી પ્રદેશની કાયાપલટ અને ગરીબ તથા જરૂરિયાતમંદો માટે જન કલ્યાણકારી કાર્યો માટે દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્તાવ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સોîપવામાં આવ્યો હતો.