બંધુ ભાવની જેમ ભગિની ભાવ પણ નારીના કલ્યાણમાં મહત્વપૂર્ણ પરિબળ છે, આ વિચાર સર્વ સ્વીકાર્ય બનેઃ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વલસાડ ખાતે શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા અને ત્રયમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પાઠશાળાના પરિસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અતિથિ પદે બંધુત્વ ભાવની જેમ ભગિની ભાવ પણ નારીના સંપૂર્ણ કલ્યાણમાં મહત્વપૂર્ણ પરિબળ છે આ વિચાર સર્વ સ્વીકાર્ય બને એવું આહ્વાન કર્યું હતું. વલસાડ જિલ્લામાં સાહિત્ય ક્ષેત્રે ઘણા વર્ષોથી પ્રવૃત્તિમય રહી સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય થકી સાહિત્ય અને લેખન ક્ષેત્રે બહમૂલ્ય યોગદાન આપી વલસાડ નગરને સીમાચિન્હ ઓળખ સ્થાપિત કરવામાં સિંહ ફાળો આપનાર પ્રતિભાશાળી સાહિત્યકાર ‘‘નવ મહિલા નગર રત્નો”ને શાલ ઓઢાડી, સ્મૃતિ ચિન્હ અને પુસ્તક અર્પણ કરી પુરસ્કળત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે કલેકટરશ્રીએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવી અને મહિલાઓ દ્વારા લખાયેલ સાહિત્યનું સમાજમાં વાંચન અંગેની ચિંતારજૂ કરી, વધુમાં વધુ મહિલાઓ લેખન માટે જાગૃત થાય તેવો સંદેશ આપ્યો હતો. જીલ્લામાંથી પસંદ થયેલ પુરસ્કળત મહિલાઓમાં નયનાબેન દેસાઈ, બકુલાબેન ઘાસવાલા, ડૉ. રાધિકાબેન ટિક્કુ, આશાબેન શાહ, સુનીતિબેન કારુળકર, ડૉ. તૃપ્તિબેન સાકરીયા, અલ્પાબેન નાયક મોદી, કિંજલબેન પંડયા અને બિજલ તળેકરનો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ સરેરાશ 7 વર્ષથી લઈને 53 વર્ષ સુધીનો લેખન અને સાહિત્ય ક્ષેત્રે અનુભવ ધરાવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય સમગ્ર વલસાડ જિલ્લાની પ્રતિભાશાળી મહિલા સાહિત્યકારો અને લેખિકાઓને એક મંચ પર લાવી તેઓની સિધ્ધિને બિરદાવતા સમાજ સામે તેમના કાર્યને પ્રોત્સાહિત કરવાનો હતો. આયોજક સંસ્થાઓ શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા અને ત્રયમ ફાઉન્ડેશન સાહિત્ય અને લેખન અંગે કાર્યરત છે. તેઓ સમાજમાં સાહિત્ય ક્ષેત્રે કાર્યરત પીઢ લેખકોને તથા જેમને લેખન ક્ષેત્રે શરૂઆત કરી હોય તેવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે.
આ પ્રસંગે સન્માનિત મહિલા સાહિત્યકાર નયનાબેન અમરતભાઈ દેસાઈએ જણાવ્યું કે, સાહિત્ય ક્ષેત્રે કામગીરી કરનાર મહિલાઓના કાર્યની નોંધ લેવાય છે તેનો ખૂબ આનંદ છે. આશાબેન વિરેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે, આ ક્ષેત્રમાં કાર્ય કરતાં-કરતાં એ અનુભવાયું છે કે,સાહિત્યએ અમારી સેવા કરી હોય.
આ શુભ અવસર પર શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાના સંકુલની બહારની દિવાલ પર સંસ્કળતિને લગતા અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવનાર મહાનુભાવોના ચિત્રો દોરી જનજાગૃતિ અર્થે સમાજને અર્પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યમાં ચૈતાલી રાજપૂત દ્વારા પ્રસંશનીય પ્રયત્નો કરી દિવાલ ચિત્રોના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું તથા દિવાલના ચિત્રોની ગરિમા જળવાય તે હેતુ અર્થે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ આ વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખવા સહકાર અને સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉમદા કાર્ય માટે ચૈતાલીબેનનું કલેકટરશ્રી ના હસ્તે સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિતે ત્રયમ ફાઉન્ડેશનના પ્રતિનિધિ ડૉ . ભૈરવી જોષી દ્વારા વલસાડના સાહિત્યકાર મહિલાઓના સન્માન કાર્યક્રમનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવને શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાના પ્રતિનિધિ નિધિ ભટ્ટ દ્વારા આવકારી કાર્યક્રમનું સંયુક્ત રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં કલેકટરશ્રી દ્વારા મહિલાઓની આવી અનન્ય સિધ્ધિઓને પુરસ્કૃત કરવાના કાર્યક્રમો થતાં રહે એવો અનુરોધ કરવામાં આવ્યોહતો. સંસ્થાના કારોબારી સભ્ય નિધિ ભટ્ટ, નિનાદ ભટ્ટ, વિભા દેસાઈ, લાઈબ્રેરીયન રાધા જાની, શીલા વૈદ્ય, ખુશ્બુ વૈદ્ય અને રતિલાલ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નીતેશ સોલંકીએ કર્યું હતું.