-
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના મુખ્યત્વે આદિવાસી વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે JEE, NEETની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગનું થઈ રહેલું આયોજન
-
દાનહના ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયોનું પણ અપાનારૂં વિશેષ પ્રશિક્ષણઃ વિદ્યાર્થીઓના નામાંકનની શરૂ થયેલી પ્રક્રિયા
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા JEE અને NEET માટેના એલન કોચિંગ ક્લાસનો પ્રદેશના વિદ્યાર્થીઓને ભૂતકાળમાં મળેલો વ્યાપક ફાયદો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 :સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દાદરા નગર હવેલીના મુખ્યત્વે આદિવાસી વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે ધોરણ 12માં અભ્યાસ કરતા અને એન્જિનિયરીંગ અને મેડિકલના અભ્યાસક્રમમાં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ભૌતિકશાષા (ફિઝિક્સ), રસાયણશાષા (કેમેસ્ટ્રી), જીવવિજ્ઞાન (બાયોલોજી) અને ગણિત (મેથ્સ)ના વિષયો તથા JEE અને NEET માટેની તૈયારી અંગે નિષ્ણાતો પાસે માર્ગદર્શન અપાવવાનું આયોજન કર્યું છે. જેના સંદર્ભમાં આ માર્ગદર્શન મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ જો તેઓ સેલવાસ શહેરમાં રહેતા હોય તો પાલિકા કચેરી અને પંચાયત વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ પોતાની ગ્રામ પંચાયત કાર્યાલયમાં બે દિવસની અંદર નોંધાવવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી ખાતે મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજનો આરંભ થતાં સંઘપ્રદેશ પ્રશાસને દેશની પ્રતિષ્ઠિત કોચિંગ સંસ્થા એલન કોચિંગ ઈન્સ્ટિટયૂટને હાયર કરી પ્રદેશના વિદ્યાર્થીઓને કોચિંગ અપાવ્યું હતું. જેના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યાર્થીઓ JEE તથા NEET ક્વોલિફાઈ કરી પ્રવેશ મેળવી રહ્યા છે.
હવે ફરી સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલીના મુખ્યત્વે આદિવાસી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈ તકલીફ નહીં પડે અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકે એ હેતુથીફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તથા મેથ્સના વિષયનું સ્પેશિયલ કોચિંગ આપવાનું આયોજન હાથ ધરી રહ્યા છે. જેનો ફાયદો વિદ્યાર્થીઓને પોતાની સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે થઈ શકશે.