ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો મોટું ભોપાળુ બહાર આવવાની શકયતા નકારી શકાય તેમ નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિકવિસ્તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો મોટું ભોપાળુ બહાર આવવાની શકયતા નકારી શકાય તેમ નથી.
ચીખલી તાલુકામાં એક ખેતીવાડી અધિકારીની મિલીભગતમાં સબસીડીયુક્ત યુરિયા ખાતરનો વેપલો છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તાલુકામાં કેટલીક સહકારી મંડળીઓ ખાતરના વિક્રેતાઓ દ્વારા ચોપડે ખેડૂતોના નામે યુરિયા ખાતરના બિલો બનાવી આ સબસીડીયુક્ત ખાતર બારોબાર સેલવાસ, દમણ, વાપી, બીલીમોરા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં સગેવગે કરાતું હોવાની માહિતી સાંપડી રહી છે.
સરકાર દ્વારા ખુલ્લા બજારમાં યુરિયા ખાતરની બેગનો 1400/- રૂપિયા જેટલો ભાવ છે. તે બેગ માત્ર 266/- રૂપિયામાં ખેડૂતને આપવામાં આવે છે. આમ એક બેગ દીઠ મોટી રકમની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ નિમકોટેડ યુરિયા ખાતરની એક બેગ ઔદ્યોગિક વિસ્તારમાં 700 થી 800 રૂપિયામાં વેચી રોકડી કરતા હોય છે. આવી સબસીડી યુક્ત યુરિયા ખાતરની બેગ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા લખેલ હોવાથી યુરિયા ખાતરને સગેવગે કરનારા આખેઆખી બેગ બદલી નાંખી નવેસરથી પેકીંગ કરી દેતા હોય છે.
ઉપરોક્ત કૌભાંડમાં ખેડૂતોના નામે જે બિલો ઉધારી ખેલ પાડવામાં આવે છે. તે બિલો વેરીફાઈ કરી તટસ્થ તપાસ થાય તો હકીકત બહાર આવે તેમ છે. ચીખલી તાલુકામાં તો ખેતીવાડી વિભાગની એક અધિકારીની મિલીભગતમાં જ યુરિયા ખાતર ઔદ્યોગિક વિસ્તારમાં વેચવાનો કારસો ચાલી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. આ અધિકારી એ તો સાતેક જેટલી મંડળીમાં દમ આપી દર મહિને 100-બેગ આપવાનું અને મંડળીના કર્મચારીને બેગ દીઠ 100 રૂપિયા આપવાની ગોઠવણ પાર પાડી આ કાળો કારભાર ચલાવાઈ રહ્યો છે. આ અધિકારીની માસિક ગોઠવણ ઉપરાંત થોડા સમય પૂર્વે એક મંડળી પાસેથી પ્રિન્ટિંગ પણ લીધું હોવાનું કહેવાય છે.
ખેતીવાડી વિભાગનો અધિકારીએ થોડા દિવસ પૂર્વે ગુજકોમાસોલના એક ખાતરના ડેપો ઉપર છાપો મારી તમે 30 બેગ બહાર વેચી છે. તેવો દમ મારી નોટીશ આપી કચેરીના આંટાફેરા કરાવતા આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચતા આ અધિકારીની શાન ઠેકાણે આવી હોવાનું કહેવાય છે. ત્યારે સમગ્ર બાબતે ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ થાય તો ભોપાળુ બહાર આવે તેમ છે.