કંપનીમાં રાખેલ રો-મટીરીયલનો જથ્થો,ફિનિશ ગુડસ, મશીનરી અને કંપનીનું સ્ટ્રક્ચર આગની લપેટમાં આવી જતા કરોડોનું નુકસાનીનો અંદાજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામ પ્લાસ્ટિક ઝોન નજીક માંડાની હદમાં કાર્યરત પ્લાસ્ટિકનું મટીરીયલ બનાવતી ઋષિકા પેકેજીંગ નામની કંપનીમાં સવારના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સવારના 7.00 કલાકના સમયે લાગેલી આગ ધીરે ધીરે બેકાબુ બનતા સંપૂર્ણ કંપનીમાં ફેલાઈ જવા પામી હતી. આગની ઘટનાની જાણકારી મળતા સરીગામ વાપી તેમજ સેલવાસની ફાયર બ્રિગેડની ટીમ ધસી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કંપનીમાં રાખેલ અંદાજિત 500 ટન જેટલો પ્લાસ્ટિક દાણાના જથ્થામાં આગ પ્રસરી જતા આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જવા પામ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ભીષણ આગને કાબુમાં લઈ એ પહેલા કંપનીમાં રાખેલ રો-મટીરીયલનો જથ્થો તેમજ ફિનિશ ગુડસ, મશીનરી સ્વાહા થઈ જવા પામી હતી અને કંપનીના શેડને પણ ભયંકર નુકસાન થવા પામ્યું હતું જેની નુકસાની કરોડોમાં થશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં કોઈ કામદારને ઈજા કે જાનહાની થવા પામી નથી. સવારના સમયે ચાલુ કંપનીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.