250 ગ્રામ સોનુ, દોઢ કીલો ચાંદી અને 40 હજાર રોકડાની ચોરી અબ્રામા ઝરણાપાર્કમાં થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02
વલસાડના અબ્રામા વિસ્તારમાં ઝરણાપાર્કમાં રહેતો રાજસ્થાની પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી 15 દિવસ પહેલાં ઘર બંધ કરીને રાજસ્થાન ગયો હતો. ઘર બંધ હોવાથી તસ્કરો તાળા તોડીને રોકડ રકમ, સોનાના ઘરેણા અને ચાંદી મળી લાખોની મત્તા હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અબ્રામા ઝરણાપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારી મદનસિંહ રાજપુરોહીતના ઘરે રાજસ્થાન લગ્ન પ્રસંગ હોવાથી ગત તા.16 નવેમ્બરે ઘર બંધ કરી રાજસ્થાન ગયા હતા તે દરમિયાન બંધ ઘર જોઈ તસ્કરો ઘરમાં પ્રવેશી બેડરૂમની તિજોરીઓ તોડી 10 થી 15 તોલા સોનાના દાગીના, દોઢ કીલોચાંદી અને 40 હજાર મળી લાખોની મત્તા ચોરી કરી ગયા હતા.
ગતરોજ પડોશીઓ મકાન ખુલ્લુ જોતા મદનસિંહભાઈને ફોન કરી ઘરમાં ચોરી થયાના ફોટો મોકલી આપેલા તેથી પરિવાર આજે વલસાડ આવી પહોંચ્યો હતો. સીટી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તસ્કરો ઝડપવાના ચત્રો ગતિમાન કર્યા છે.