રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
પૂ.મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.30: નવસારીના લુન્સીકુઈ ખાતે પૂ.મોરારી બાપુની એક સપ્તાહથી ચાલી રહેલી રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા હતાં.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે નવસારી ખાતે એક સપ્તાહથી ચાલી રહેલી રામકથામાં દક્ષિણ ગુજરાતના નાગરિકોને ખૂબ લાભ મળ્યો છે. પૂ.મોરારી બાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષણો સામે લડવા અને બદલાવ લાવવા નવી રાહ ચીંધી છે. ગૃહમંત્રીશ્રીએ આજે રામનવમીના પાવન દિવસે સૌપ્રથમ શ્રીરામજીના દર્શન કર્યા બાદ પૂ.બાપુના દર્શનનો લાભ મળ્યો છે તેમ જણાવી આવનારા દિવસોમાં દુષણો સામે લડવા કટિબધ્ધતા વ્યકત કરી હતી. રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે તેમ જણાવીપૂ.મોરારી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો.
પૂ.મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં તમામ સ્વયંસેવકો ભાઈ-બહેનોની સેવાને બિરદાવી હતી. નવસારી ખાતે રામકથામાં ખૂબ સારી વ્યવસ્થાના આયોજન બદલ મોરારી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂ.બાપુએ કથાશ્રવણમાં આવેલા તમામ શ્રોતાજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આજે રામનવમીના દિવ્ય દિવસે ભક્તજનોએ બે દિવા પ્રગટાવી રામનવમીની ઉજવણી કરવા કહ્યું હતું. વધુમાં, પૂ.બાપૂ એ તાજેતરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એથી સાવચેતી જાળવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે માજી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, અન્ય મહાનુભાવો, શ્રોતાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.