પૂજા, યજ્ઞ તથા હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી: બપોરે યજ્ઞ બાદ શરૂ થયેલમહાપ્રસાદ મોડી રાત સુધી ચાલવાની પરંપરા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી હનુમાન ડુંગરી સ્થિત રોકડિયા હનુમાન દાદાનું મંદિર પારડી તથા આજુબાજુના વિસ્તારના લોકો માટે ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે વર્ષ દરમિયાન દર શનિવારે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે.
વર્ષોથી ઉજવાતા હનુમાન જન્મોત્સવના દિવસે અહીં ઉજવાતા વિવિધ કાર્યક્રમોને લઈ અહીંનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય બની જાય છે. લોકો સ્વયંભૂ ઉમટી પડી હનુમાન દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
ચૈત્ર સુદ પૂનમ હોય ચૈત્રી નવરાત્રીને લઈ માતાજીના યજ્ઞ અને હનુમાનદાદાનો પણ જન્મદિન હોય અહીં બે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શન માટે મોટી કતારમાં લોકોએ ઊભા રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વર્ષોની આ મંદિરની પરંપરા રહી શકે બપોરે યજ્ઞ હવન બાદ શરૂ કરવામાં આવેલ મહાપ્રસાદ મોડી રાત સુધી સતત ચાલુ રહે છે અને હજારો ભક્તજનો આ મહાપ્રસાદનો લાભ લે છે.
કોઈપણ ભગવાન કે માતાજીના અવતરણ દિવસને જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ હનુમાન દાદા હાલમાં પણ આપણી સાથે હાજરાહજૂર હોય હનુમાન જયંતિ નહીં પરંતુ હનુમાનજન્મોત્સવ તરીકે આ દિવસને ઉજવવું એ આપણા માટે હનુમાનદાદા આપણી સાથે હોવાનો પુરાવો છે.