-
પાંચસો વર્ષ જૂનું મનાતા પ્રાચીન ઐતિહાસિક શ્રી પંચમુખી હનુમાનજી મંદિરમાં ઉમટેલી ભક્તોની ભીડ
-
ગુજરાતના પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પંચમુખી હનુમાનજીના કરેલા દર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: વાપીના મોટીતંબાડી ગામ સ્થિત ઐતિહાસિક પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જન્મોત્સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારે મારુતિ યજ્ઞ બાદ મહા આરતી ત્યારબાદ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરો કલાકાર શ્રી વિવેકભાઈ સાછલા અને મનીષાબેન પાઘડી તથા અન્ય કલાકારો દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
આ અવસરે કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે મંદિરના ઇતિહાસ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ મંદિર અંદાજીત પાંચસો વર્ષ જૂનુ છે અને ઐતહાસિક પ્રાચીન મંદિર છે. આ મંદિરે દર્શનાર્થે આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાયછે. અત્રે યાદ રહે કે, બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પણ મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, હાલમાં કર્ણાટક અને તમિલનાડુની પણ એક ટીમ આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, તેમણે ઐતિહાસિક દમણગંગા નદી અને આ પંચમુખી હનુમાનજી મંદિરનો ઉલ્લેખ તેઓના ગ્રંથમાં પણ કરેલ છે.