આર્યા હાઈટ્સમાં રહેતા કસ્તૂરીબેન ભાનુશાલી બિમારીઓથી કંટાળી ભરેલું પગલું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી નૂતનનગરવિસ્તારમાં આવેલ એક બહુમંઝિલા ઈમારતના આઠમા માળેથી એક મહિલાએ પડતુ મુકી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નૂતનનગર સ્થિત આર્યા હાઈટ્સના 8 માળે રહેતા કસ્તુરીબેન ભાનુશાલી ઘણા લાંબા સમયથી પેટ અને ઘુંટણની બિમારી રહેતી હતી. આ બિમારીઓ અંગે મુંબઈ, સુરતની દવાઓ પણ ચાલતી હતી. પરંતુ લાંબા સમયની બિમારીથી કંટાળી ત્રાસી ગયેલા કસ્તૂરીબેનએ અંતે ગત 31મી બપોરે 12:50 વાગ્યાના સમયે આઠમા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી દીધી હતી. પટકાતાની સાથે જ તેમનું સ્થળ ઉપર કરુણ મોત નિપજ્યું હતું. બિલ્ડીંગના રહીશો તેમજ ભાનુશાલી પરિવારોના લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા. મૃતકની પૂત્રીએ વાપી ટાઉનમાં જાણ કરી હતી તેથી પોલીસે લાશને પી.એમ. માટે ખસેડી હતી.મૃતક કસ્તુરીબેનના પતિ વાપીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બિમારીથી કંટાળી ગયેલ હોવાથી આ પગલું ભર્યાનું પૂત્રીએ પોલીસને જણાવ્યું હતું. નોંધનીય છે કે, નૂતનનગર વિસ્તારમાં સેંકડો ભાનુશાલી પરિવારો રહે છે તેથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.