13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ ફાટક બંધ રખાયું હતું પરંતુ આજથી કાયમી ધોરણે ફાટક બંધ કરી દેવાતા લોકરોષ ફાટયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: ઉદવાડા ફાટક રેલવેની કામગીરી અંતર્ગત તા.13 એપ્રિલથી 3 મે સુધી 20 દિવસ માટે બંધ કરાયું હતું પરંતુ આજે 3 મેના દિવસે ફાટક તો ખુલ્યુ નહી ઉલટાનું કાયમી ધોરણે બંધ કરવાનો રેલવેએ લીધેલા નિર્ણય સામે લોકરોષ ફાટી નિકળ્યો હતો. બે હજાર ઉપરાંત લોકોનું ટોળુ રેલી આકારે સ્ટેશન કચેરીએ ઘૂસી ગયું હતું અને ત્યાં હલ્લાબોલ મચાવી દેવાયો હતો.
ઉદવાડા રેલવે ફાટક હાર્ટલાઈન છે. 20 થી 25 હજાર લોકોની રોજીંદી અવર જવર રહે છે.ગ્રામ્ય વિસ્તાર અને સ્થાનિકોની મુખ્ય અવર જવર કરવાનો ફાટક એકમાત્ર વિકલ્પ છે. જેને 20 દિવસ માટે રેલવેએ બંધ કરી દીધું હતું તેથી લોકોએ સ્વિકારી લીધું હતું પરંતુ આજે ફાટક ખુલવાનો અંતિમ દિવસ 03 મે હતો પરંતુ ફાટક ખુલ્યુ નહીં અને રેલવે તંત્રએ ફાટકને કાયમી ધોરણે બંધ રાખવાનો ફતવો જાહેર કરી દેતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જોતજોતામાં સેંકડોનું ટોળુ ફાટક પાસે ભેગુ થઈ ગયું હતું. બે હજાર ઉપરાંત ભેગા થયેલા લોકોએ સ્ટેશન ઓફિસમાં હલ્લાબોલ મચાવી દીધો હતો. તેમજ અવર જવર માટે ફાટક ખુલ્લુ રાખવાની માંગણી કરી હતી. પરંતુ તેનું કોઈ સમાધાન અંતે થયું નહોતું.