આર એન્ડ બી, NHAI, પોલીસ, પાલિકા, વાહન વ્યવહાર અને વન ખાતાના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા ગંભીરતાપૂર્વક તાકીદ કરાઈ
રસ્તા, કોઝવે અને ગરનાળા પાસે પાણીની સપાટી દર્શાવતા ચેતવણી દર્શક બોર્ડ લગાવવા સૂચના અપાઈ
તમામ વિભાગોએ પોતાના વાહનો અને સાધનો મરામત કરી તૈયાર રાખવા નિવાસી અધિક કલેકટરે જણાવ્યું
ડીપ/ગરનાળા/કોઝવે પાસે પાણી ભરાતા હોય તેવી જગ્યાએ કોન્સ્ટેબલ અથવા હોમ ગાર્ડસને ૨૪x૭ કલાક તૈનાત રાખવા સૂચન
ઝાડ પડવાના કારણે બંધ થયેલા રસ્તાને ખુલ્લા કરવા માટે ૨૪x૭ કલાકની ટીમ બનાવી એલર્ટ રહેવા અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે ચોમાસા દરમિયાન લોકોને તકલીફો નહી પડે અને ખાડા તેમજ ખુલ્લી ગટરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે કોઈના જાન માલને નુકશાન ન થાય તે માટે આગોતરી તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લા માર્ગ અને સલામતી અંગેની બેઠક નિવાસી અધિક કલેકટર એ.આર.જહાની અધ્યક્ષતામાં તેમની ચેમ્બરમાં સંબંધિત વિભાગના અધિકારીઓની સાથે મળી હતી. જેમાં તમામ અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે નિવાસી અધિક કલેકટરે ગંભીરતાપૂર્વક તાકીદ કરી હતી.
આગામી ચોમાસુ-૨૦૨૩ દરમિયાન વલસાડ જિલ્લામાં માર્ગ અકસ્માત પર અંકુશ લાવવા માટે NHAI/NHAS/ માર્ગ અને મકાન (પંચાયત અને સ્ટેટ)ના અધિકારીઓને તાકીદ કરતા આર.એ.સી. જહાએ જણાવ્યું કે, તમારા કાર્યક્ષેત્રમાં આવતા રસ્તા, ડેમના એપ્રોચ રોડ, ક્રિસ્ટલ અને લો-લાઈન વિલેજમાં એપ્રોચ રોડ સમારકામની કામગીરી તથા રીસર્ફેસીંગની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવી. રોડના ડીપ/ગરનાળાની હાલની સ્થિતિ તપાસી જરૂર જણાય ત્યાં સમારકામ કરવા સૂચન કર્યુ હતું. કોઝવે અને ગરનાળા નજીક પાણીની સપાટી દર્શાવતા ચેતવણી દર્શક બોર્ડ લગાવવાની કામગીરી તમામ સંબંધિત વિભાગને કરવા માટે જણાવ્યું હતું. ચોસામામાં ટ્રક, ટેન્કર, ડમ્પર્સ, બુલડોઝર, જે.સી.બી. અને ક્રેઈન સહિતના અન્ય સાધનોની મરામત કરી તૈયાર રાખવા માર્ગ અને મકાન, પાલિકા,વન અને વાહન વ્યવહાર વિભાગને સૂચન કર્યુ હતું. ભારે વરસાદના કારણે જાહેર રોડ-રસ્તા ઉપર ભેખડો ધસી પડતા અને વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થવાના સમયે જરૂરી વ્યવસ્થા કરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવા નિવાસી અધિક કલેકટર એ.આ.જહાએ જણાવ્યું હતું.
આ સિવાય નાયબ પોલીસ અધિક્ષકને ચોમાસા દરમિયાન જે જગ્યાએ ડીપ/ગરનાળા/કોઝવે પાસે પાણી ભરાતા હોય તેવી જગ્યાએ કોન્સ્ટેબલ અથવા હોમ ગાર્ડસને ૨૪*૭ કલાક તૈનાત કરવા જણાવ્યું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના સમયે બચાવ કામગીરી માટે સ્વયંસેવકો, તરવૈયા અને બચાવ ટુકડીની વિસ્તાર વાઈઝ ટીમ બનાવી એલર્ટ રહેવા સૂચન કર્યુ હતું. જિલ્લાની તમામ નગરપાલિકા અને નોટીફાઈડના ચીફ ઓફિસરોને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેમ હોવાથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર અને ડ્રેનેજ લાઈનની સફાઈ કરવી અને જે વિસ્તારોમાં પાણી વધુ ભરાતા હોય તેવા વિસ્તારમાં અલગથી સ્ટાફનું આયોજન કરી દેખરેખ રાખવા જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં માર્ગ પર અગાઉના વર્ષ તેમજ હાલના બ્લેક સ્પોટ પર માર્ગ અકસ્માત ટાળી શકાય તે મુજબ કામગીરી કરવા વાહન વ્યવહાર વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીને જરૂરી સૂચના આપી હતી. આ સિવાય નાયબ વન સરંક્ષક ઉત્તર / દક્ષિણ વન વિભાગના અધિકારીઓને ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિમાં વિસ્તાર પ્રમાણે રસ્તા ઉપર ઝાડ પડવાના કારણે બંધ થયેલા રસ્તાને ખુલ્લા કરવા માટે ૨૪*૭ કલાકની ટીમ બનાવવા નિવાસી અધિક કલેકટર એ.આર.જહાએ હુકમ કર્યો હતો.
આ બેઠકમાં વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર પ્રિયંકા પટેલ, માર્ગ અને મકાન (સ્ટેટ)ના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એસ.પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિકુંજ ગજેરા, સિટી પીઆઈ બી.ડી.જીતિયા, વલસાડ પાલિકાના એન્જિનિયર નગમા મોદી, પારડી પાલિકાના ચીફ ઓફિસર બી.બી.ભાવસાર, ધરમપુર પાલિકાના ચીફ ઓફિસર વિજય એન.ઈટાલિયા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ વલસાડના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એચ.ટી.પટેલ, ૧૦૮ વલસાડના એક્ઝિક્યુટીવ સંજય વાઘમારે, સરીગામ જીઆઈડીસી નોટીફાઈડ એરિયાના ચીફ ઓફિસર મહેશ કોઠારી અને વન વિભાગના અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.