બાસુકીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને વધાવવા ઉમટેલો દલવાડા-મરવડ-કડૈયા ગામનો માનવ મહેરામણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના દિશા-નિર્દેશ અને પ્રદેશ ભાજપપ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં પોતાની ચોથી ટર્મ માટે દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરથી પોતાના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
આજે શ્રી લાલુભાઈ પટેલ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પોતાનો ચૂંટણી પ્રવાસ કરવાના હોવાની જાણકારી દલવાડાના લોકોને મળતાં તેમને વધાવવા માટે મંદિર પરિસરમાં ટોળાના ટોળા ઉમટી પડયા હતા.
દમણ-દીવ ભાજપના યુવા નેતા શ્રી નવિનભાઈ પટેલની રાહબરી હેઠળ દલવાડા ગામના અનેક લોકોએ પુષ્પગુચ્છ, પુષ્પમાળા અને વિશાળ વિજયમાળા પહેરાવી ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનું જોરદાર અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજથી ભાજપના ઉમેદવાર તરીકે શ્રી લાલુભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારના વિધિવત રીતે શ્રીગણેશ કર્યા છે અને આ ચૂંટણીમાં તેઓ અભૂતપૂર્વ માર્જીનથી વિજેતા બની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણમાં આ બેઠક ધરશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દમણ-દીવના લોકોની લાગણી અને પ્રેમના કારણે મને આ ટિકિટ મળી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા દમણ-દીવના લોકોપ્રધાનમંત્રીશ્રીને આ બેઠક વિજય ભેટ આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ તેમણે પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી અનિલભાઈ અગ્રવાલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા સહિત સેંકડો ગ્રામવાસીઓ જોડાયા હતા.