(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચીખલી સેવાસદનમાં મામલતદાર સહિતની કચેરીઓમાં ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા દસેક જેટલા ડેટા એન્ટ્રી ઓપરેટરોની બદલી બીજા તાલુકામાં કરી દેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી તેઓને છૂટા પણ કરી દેવાયા છે. જેમાં ઘણા ઓપરેટરોની હાલત કફોડી બનવા પામી છે. હકીકતમાં ગાંધીનગરથી ઓપરેટરોની બદલીઓ માટે આદેશ થતા કલેક્ટર કચેરી દ્વારા આ રીતે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. પરંતુ ઓપરેટરોને માત્ર કામ કે જે તે તાલુકામાં જગ્યા બદલવાના સ્થાને સીધી તાલુકા ફેરબદલી કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારેગાંધીનગરની સૂચના કે પરિપત્રનું અર્થઘટન ખોટું કરાયું કે કેમ તે તપાસનો વિષય છે. પરંતુ આ રીતે જે તે તાલુકામાં જ આંતરિક બદલી કરવાના સ્થાને તાલુકા ફેરબદલી કરી દેવાતા ઓપરેટરોની હાલત કફોડી થવા પામી છે.
આમ પણ ઓપરેટરોને ચૂકવાતો પગાર પરવડે તેમ ન હોય તેવી સ્થિતિમાં રોજગાર વાંચ્છુકો નોકરી કરતા હોય છે તેવામાં તાલુકા ફેરથી કેટલાક તો નોકરી છોડી દેવા પડે તેવો ઘાટ સર્જાયો છે ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતા આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. ત્યારે ખરેખર ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તે માટે જવાબદાર અધિકારીની બદલી કે અન્ય પગલા લેવાવા જોઈએ ઓપરેટર જેવા સામાન્ય કર્મચારીની બદલીથી ભ્રષ્ટાચાર કાબૂમાં આવશે ખરો ? જોકે કેટલાક જિલ્લાઓમાં તાલુકા ફેર બદલીઓ રદ કરી તાલુકામાં જ ટેબલ બદલી આંતરિક ફેરફાર કરવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે કયારે નવસારી જિલ્લા કલેકટર પણ હકારાત્મક અભિગમ દાખવે તેવી લાગણી ઊભી થવા પામી છે. આ અંગે ઓપરેટરો દ્વારા ધારાસભ્ય સહિતના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોને પણ તાલુકા ફેર બદલીઓ રદ્ કરવા માટે રજૂઆત કરી છે ત્યારે જિલ્લા કલેકટર કેવો અભિગમ દાખવે તે જોવું રહ્યું.
જિલ્લાના અધિક નિવાસી નાયબકલેકટર શ્રી કેતનભાઈ જોશીના જણાવ્યાનુસાર ઓપરેટરોની કામ બદલી નાંખવા અને તાલુકા ફેર બદલી માટે સરકારમાંથી સૂચના હતી. ઓપરેટરો દ્વારા આ અંગે રજૂઆત કરી છે તે તાલુકામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે. જેથી જે તે તાલુકામાં જ કામ બદલી ત્યાં જ રાખવા કે કેમ તે અંગે કલેક્ટર સાહેબ વિચારધીન છે.