(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીમાં સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની સ્કોલરશીપ નહીં મળતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષ 2020-21 થી લઈ વર્ષ 2023 સુધીની સ્કોલરશીપ મળી નથી.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અમોએ વારંવારશિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ‘થોડા દિવસોમાં મળી જશે’. એવા જ વાયદા કરતા રહે છે. વિદ્યાર્થીઓએ જણાવી રહ્યા છે કે, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી. અમારૂં શિક્ષણ ન બગડે એના માટે એક-બે વર્ષની જેમ તેમ કરી ફી ભરી છે, તેથી અમે સરકાર દ્વારા મળતી સ્કોલરશીપની આશાએ અમારા ભવિષ્યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો અમને સ્કોલરશીપ નહીં મળશે તો અમે અમારો શિક્ષણ ખર્ચ ઉઠાવવા અસમર્થ છીએ અને અમારૂં ભવિષ્ય અંધકારમય બનવાની સંભાવના છે. આ સંદર્ભે અમે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાને રજૂઆત કરી હતી કે, અમને વહેલી તકે સ્કોલરશીપ મળે. આ બાબતે કલેક્ટરશ્રીએ અમને આશ્વાશન આપ્યું હતું કે, તમારા મુદ્દાને ધ્યાનમાં લઈને જેમ બને તેમ વહેલી તકે સ્કોલરશીપ પ્રદાન કરવાના પ્રયાસ કરવામાં આવશે.