તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ તથા વ્યંજનોને યાદ કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આજે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પહેલ અનુસાર તેલંગણા રાજ્યના 8મા સ્થાપના દિવસ પ્રસંગે દમણમાં રહેતા તેલંગણાના નાગરિકોનું અભિવાદન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહે(જનરલ) તેલંગણાવાસીઓને અભિનંદન પાઠવી તેલંગણા રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે તેલંગણાની સમૃદ્ધ સંસ્કૃતિ, વ્યંજન અને ઉત્સવોની પણ પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્યના લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિબિંબ પણ પડતું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસને વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય લીધેલો છે.