કેમીકલ ગેસ લીકેજનો સીનારીયો ઊભો કરી સાવચેતીના પગલા અંગે પ્રશિક્ષણ આપવામા આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લો ઔધોગિક વિકાસમાં ભારત તથા ગુજરાત રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. ઔધોગિક વિકાસની હરણફાળના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ઘણા રાસાયણિક કારખાનાઓમાં જોખમી રસાયણોનો ઉપયોગ થતો હોવાથી તેનો સંગ્રહ અને વપરાશ ધણી સાવચેતી માગી લે છે જે બાબતે ઉદ્યોગકારો તથા સરકારી તંત્ર સાવચેતી દાખવે જ છે. આમ છતાં કોઇ સંજોગોમાં કોઇ ઔદ્યોગિક દુર્ધટના બને તો તેની અસરો ઓછી કરી શકાય અને જાનમાલનું નુકશાન ન થાય કે ઓછામાં ઓછું નુકશાન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના અધ્યક્ષપણા હેઠળ ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપની રચના કરવામાં આવે છે અને જિલ્લાનો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન બનાવવામાં આવે છે. આ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું રીહર્સલ વર્ષમાં એકવાર કરવાનું હોય છે. જેને અનુલક્ષીને તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ જીઆઇડીસી સરીગામ, તા-ઉમરગામ, ખાતે વલસાડ જિલ્લાના ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું રીહર્સલ (મોકડ્રીલ) નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મોકડ્રીલ દરમિયાન કેમીકલ ગેસ લીકેજનો સીનારીયો ઊભો કરી જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગકારો તથા આ વિસ્તારની આજુબાજુની જાહેર જનતાને ઔદ્યોગિક હોનારત વખતે કરવાની કામગીરી તથા સાવચેતીના પગલા અંગે પ્રશિક્ષણ આપવામાં આવનાર છે. જેથી ખરેખરની ઇમરજન્સી વખતે લોકોમાં ગભરાટ ન ફેલાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય.
આ રીહર્સલ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું માત્ર મોકડ્રીલ જ છે. ખરેખર ઇમરજન્સી ઉભી થઇ હોઇ તો તેને કેવી રીતે પાર પાડવી? તેનું પૂર્વ આયોજન, પૂર્વ તૈયારી, ઝડપી પ્રતિક્રિયા વગેરે બાબતોની ચકાસણી માત્ર છે. જેથી આ રીહર્સલ દરમ્યાન કોઇએ પણ ગભરાવાની જરૂર નથી. આથી કામગીરી દરમિયાન સંયમ રાખી, કામગીરીને સમજી, અફવાઓથી દુર રહી, સત્તાધિકારીઓની સુચનાનો અમલ કરી સંપૂર્ણ સહકાર આપવા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામકે અપીલ કરી છે.