-
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આત્મિયતા કેળવાશેઃ પ્રધાનમંત્રીશ્રીના ‘શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારત’ના સંકલ્પને નવી શિક્ષણ નીતિ સાર્થક કરાવશે
-
ડિગ્રી નહીં આવડત ઉપર મહત્ત્વઃ વિદ્યાર્થીઓ હિન્દી અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં શિક્ષણ મેળવી શકશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ/સેલવાસ, તા.28 : આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને સંઘપ્રદેશ દીવ અને સેલવાસ ખાતે શિક્ષણનીતિની સિદ્ધિઓ અને ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય દીવ અને નવોદય વિદ્યાલય દ્વારા સમગ્ર શિક્ષા હોલ, શિક્ષણ વિભાગ દીવ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય વિદ્યાલય દીવના પ્રભારી આચાર્ય શ્રી પ્રવીણ કુમાર મુરડીયા તથા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી પ્રશાંતે નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કેન્દ્રીય વિદ્યાલય દીવના પ્રભારી આચાર્ય શ્રી પ્રવીણ કુમાર મુરડીયા અને નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રીપ્રશાંતે મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવી વિદ્યાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને છેલ્લા 3 વર્ષમાં આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ2030 સુધીમાં ધો1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાના વાતાવરણમાં બાળકો સરળતાથી ભળી જાય તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આશિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે.
નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યું છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે. હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે. તેમ પ્રેસ મીડિયાના મિત્રોને જાણકારી આપી હતી. આ સાથે કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી આચાર્ય શ્રી પ્રવીણકુમાર મુરડીયા તેમજ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી પ્રશાંત સમગ્ર શિક્ષા હોલ, શિક્ષણ વિભાગ દીવ ખાતે સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે દાનહના સેલવાસ કેન્દ્રિય વિદ્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય વિદ્યાલય-3 ઓ.એન.જી.સી. સુરતના પ્રાચાર્ય શ્રી આલોક તિવારીએ નવી શિક્ષણ નીતિની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે દેશની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020′ વિશે વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે એમ જણાવતાં 10+2ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રિય વિદ્યાલયોમાં અમલીહોવાની માહિતી આપી હતી. શ્રી આલોક તિવારીએ મીડિયા સાથે સંવાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રૂચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારથ હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બાળકો પહેલાં ધોરણથી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લે એ આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં તેના હકારાત્મક પરિવર્તનોથી અવગત કરાવતા પ્રાચાર્ય શ્રી આલોક તિવારીએ જણાવ્યું હતું કે, હાલમાં 10+2 મુજબ શૈક્ષણિક પદ્ધતિના સ્થાને હવે 5+3+3+4નું નવું માળખું અમલી બનશે. હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રિય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ રમત, વાર્તા, જ્ઞાન, ગમ્મત સાથે બે ભિન્ન વિષયોને એકબીજા સાથે એકીકૃત કરી (દા.ત.હિન્દીને ગણિત સાથે જોડવીા શિક્ષણ આપવા ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થીઓ પોતાની રૂચિ મુજબના વિષયોનોઅભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં ધોરણ 1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ શ્રી આલોક તિવારીએ ઉમેર્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે અને ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે કેન્દ્રિય વિદ્યાલય સેલવાસના પ્રભારી પ્રાચાર્યા સુશ્રી સુષ્મિતા ભાદુડી, જવાહર નવોદય વિદ્યાલય સિલીના પ્રભારી હેડ મિસ્ટ્રેસ શ્રીમતી કંચન રાણા, શ્રી વી.એસ.કુશવાહ સત્રિ પ્રિન્ટ અને ઈલેક્ટરોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.