-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો 100 ટકા અમલ સાથે પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિક, માળખાગત સહિતના તમામ ક્ષેત્રે આભને આંબતા ઐતિહાસિક વિકાસના કાર્યો થયા છેઃ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા
-
સંઘપ્રદેશના લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ, મફત અન્ન યોજના, આયુષ્માન ભારત યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, ઉજ્જવલા યોજના, મફત શૌચાલય જેવી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી રહ્યો : મોદી સરકારના 9 વર્ષનો હિસાબ આપતાં અસ્પી દમણિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના સફળતાપૂર્ણ 9 વર્ષ પૂર્ણ થવા ઉપર ભાજપ દ્વારા દેશભરમાં ‘નો સાલ બેમિસાલ’ના સૂત્ર સાથે ચલાવવામાં આવી રહેલા જન સંપર્ક અભિયાન અંતર્ગત આજે દમણ જિલ્લા ભાજપે મીડિયા સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને સંગઠન મહામંત્રી શ્રી વિવેકદાઢકરની પ્રેરણાથી આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 9 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ અને પ્રદેશે સાધેલા સર્વાંગી વિકાસનો ચિતાર આપ્યો હતો.
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકારના શાસન દરમિયાન હવે દેશ, પ્રદેશ અને દુનિયામાં આપણો સમય શરૂ થયો છે. તેમણે વૈશ્વિક ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો 100 ટકા અમલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક વિકાસના કાર્યો થયા છે. પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિક, માળખાગત સહિતના તમામ ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે આભને આંબતી પ્રગતિ કરી છે.
શ્રી અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક એરપોર્ટ, ફેશન ડિઝાઈનિંગ, મેડિકલ, નર્સિંગ, લો જેવી કોલેજો, રામસેતૂ, નમો પથ જેવા ઐતિહાસિક અને કોઈને પણ કલ્પનામાં નહીં હતા એવા વિકાસના કામો થયા છે. તેમણે વધુમાંજણાવ્યું હતું કે, દમણ જિલ્લાની દરેક શાળાનું નવીનિકરણ અને આધુનિકરણ કરાયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એર કન્ડિશન ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવી રહી છે. દમણ- સેલવાસ અને દમણ-વાપી વચ્ચે પણ એ.સી. ઈલેક્ટ્રીક બસની સુવિધા ઉભી કરવામાં આવી છે.
શ્રી અસ્પી દમણિયાએ મોદી સરકારના 9 વર્ષનો હિસાબ આપતાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશના લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ, મફત અન્ન યોજના, આયુષ્માન ભારત યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, ઉજ્જવલા યોજના, મફત શૌચાલય જેવી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દમણ અને દાનહમાં વિવિધ બિલ્ડીંગો બનાવીને ગરીબ મહિલાઓના નામે મકાનોની ફાળવણી કરાઈ છે.
દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાએ પ્રદેશમાં મહિલા સશક્તિકરણ, અનુ.જાતિ અને જનજાતિ સહિતના લોકો માટે કરાયેલા વિવિધ કલ્યાણકારી કામોની માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના, એકલવ્ય નિવાસી શાળા, આદિવાસીઓને જમીનના હક્કો આપવા જેવા અનેક કામો થયા છે.
દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રીનરેન્દ્રભાઈ મોદી પાંચ પાંચ વખત પ્રદેશની મુલાકાતે આવી ગયા છે. જે બતાવે છે કે તેમનો આપણાં પ્રદેશ ઉપર વિશેષ પ્રેમ અને કૃપા છે. તેમની કૃપાદૃષ્ટિના કારણે જ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવે એક મોટા રાજ્યને પણ પડકાર આપે તે પ્રકારનો વિકાસ કર્યો છે.
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા દમણ નગરપાલિકાના અધ્યક્ષ પણ હોવાથી તેમણે જણાવ્યું હતું કે, દમણ ન.પા. દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત યુવાનો અને નાની લારી-ગલ્લાંવાળાઓને રૂા.10 હજારથી 50 હજાર સુધીની લોન આપવામાં આવી રહી છે. પત્રકારો સાથેના વાર્તાલાપમાં પ્રદેશના મીડિયા સંયોજક શ્રી મજીદભાઈ લધાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.