(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં લગભગ ત્રણ વર્ષની ચાલી રહેલા એક યુવકની હત્યાના કેસમાં આજે વિદ્વાન ન્યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ સુનાવણી કરતા આરોપી કૃષ્ણ બહાદુર કાલુ સુનચોરીનો દોષિત ઠેરવતા આજીવન કેદ અને રૂા.5000ના દંડની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ 7 મે, 2020ના રોજ વિકાસ પદમ બહાદુરે નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 6ઠ્ઠી મે ના રોજ રાત્રી લગભગ 1 વાગ્યે કૃષ્ણ બહાદુર કાલુએ અર્જુન રાજુ લામાની ગરદન અને બંને હાથોની નશોને કાપીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે આઈપીસીની 302 કલમ મુજબ કેસ નોીં આરોપી કૃષ્ણ બહાદુર કાલુની ધરપકડ કરી હતી. નાની દમણ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીના નેતૃત્વમાં કેસની તપાસ પોલીસ અધિકારી ભાવિની હળપતિએ શરૂ કરી હતી. તપાસમાં ખબર પડી કે, કૃષ્ણ અને અર્જુન બંને ભેંસલોરના પટેલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા હતા. બંને વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને કૃષ્ણએ અર્જુનના બંને હાથની નશો કાપી નાંખી. લોહીથીલથપથ હાલતમાં અર્જુન દોડતો દોડતો વિકાસના રૂમની પાસે જઈ પહોંચ્યો, જ્યાં કૃષ્ણ હાથમાં ચાકુ લઈને અર્જુનની પાછળ દોડતો આવ્યો.
આ પુરી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ ચાકુ અને લોહીથી ખરડાયેલા આરોપીના કપડાં કબ્જે લીધા.
પી.એસ.આઈ. શ્રી જય પટેલે આ કેસમાં 4 ઓગસ્ટ, 2020ના રોજ દમણ કોર્ટમાં આરોપનામું દાખલ કરાવ્યું હતું. આજે આ કેસની સુનાવણી કરતા વિદ્વાન ન્યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ ડોક્ટર, બનાવના સીસીટીવી ફૂટેજ, નજરે જોનારા વિકાસ પદમ બહાદુર સહિત કુલ 14 સાક્ષીઓને સાંભળ્યા બાદ આરોપી કૃષ્ણ બહાદુર કાલુ સુનચોરીનો આઈપીસીની કલમ 302 અંતર્ગત દોષીત જાહેર કરતા આજીવન કેદ અને રૂા.5000ના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્યાયે જોરદાર દલીલ કરી હતી અને ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલવા સફળ રહ્યા હતા.