-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહની સુરંગી કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને કરાવેલો શાળા પ્રવેશ
-
સુરંગી સહિતના આજુબાજુ વિસ્તારની ઍક ટૂકડો જમીન નહીં વેચવા આદિવાસી ખેડૂતોને પ્રશાસકશ્રીની અરજઃ આવતા દિવસોમાં અનેકગણું વધવાનું જમીનોનું મૂલ્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દાદરા નગર હવેલીની સુરંગીની શાળામાં બાળકોને તિલક લગાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આજે દાનહના સુરંગી ખાતેની ઉચ્ચ પ્રાથમિક શાળામાં આયોજીત શાળા પ્રવેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવેશ લેતા બાળકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 300 કરોડથી વધુના ખર્ચથી 22 નવી શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં હજુ બીજી કેટલીક શાળાઓ પણ આધુનિક સુવિધાઓથી સજ્જ થનારી છે. તેમણે પ્રદેશમાં આવેલી શૈક્ષણિક ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીની મુક્તિના 70 વર્ષમાં જેટલા ડોક્ટરો પેદા નથી થયા તેનાથી વધુ આવતા વર્ષથી દાદરા નગર હવેલીમાં ઉપલબ્ધ થશે. આજે પ્રદેશમાં મેડિકલ, એન્જિનિયરીંગ, હોટલ મેનેજમેન્ટ, નર્સિંગ, પેરામેડિકલ, લો જેવી અનેક સરકારી કોલેજો કાર્યરત થઈ ચુકી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સુરંગી સહિતના આજુબાજુ વિસ્તારના આદિવાસી ખેડૂતોને ભારપૂર્વક વિનંતી કરતા જણાવ્યું હતું કે, જમીનનો ઍક ટૂકડો પણ વેંચશો નહિ, કારણ કે, આવતા દિવસોમાં આ વિસ્તારનો ખુબ વિકાસ થવાનો છે અને તમારી જમીનનું મૂલ્ય અનેકગણું વધવાનું છે. તેમણે શાળા પરિવાર દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ સામેલ થવા પોતાની અનિચ્છા જાહેર કરતાં જણાવ્યું હતું કે, જે લોકો વૃક્ષારોપણ કરે છે અને તેની જાળવણી કરવાના હોય તેમણે જ વૃક્ષોનું વાવેતર કરવું જાઈઍ અને અહીં ઉપસ્થિત ગ્રામવાસીઓ જા ઍક ઍક વૃક્ષની જવાબદારી લઈ લે તો સ્કૂલ કેમ્પસને લીલુંછમ કરતા કોઈ રોકી નહીં શકે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના થઈ રહેલા આયોજનને કારણે સરકારી શાળાઓમાં બાળકોના પ્રવેશની ટકાવારીમાં પણ લગાતાર વધારો થઈ રહ્યો છે. પ્રદેશની સરકારી શાળાઓપણ અદ્યતન સુવિધાથી સજ્જ અને મોટાભાગે સ્માર્ટ ક્લાસરૂમ સાથેની બની ચુકી છે. તેમણે જણાવ્યું હતું કે, પહેલાં પાંચમા- છઠ્ઠાનો અભ્યાસ કર્યા બાદ 8મા ધોરણ સુધી આવતાં આવતાં ખાસ કરીને કન્યા વિદ્યાર્થીનીઓ સ્કૂલ છોડી જતી હતી, જેનું મુખ્ય કારણ ટોયલેટની અલગ વ્યવસ્થા નહીં હોવાનું જણાતાં હવે તમામ શાળાઓમાં કન્યા વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશના 65 હજાર જેટલા બાળકોને પૌષ્ટિક અને તાજા ભોજનની વ્યવસ્થા અક્ષયપાત્રના માધ્યમથી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શાળા શરૂ થવા પહેલાં ગામડે ગામડે અને ઘર ઘર જઈ સ્કૂલ જવાની ઉંમરવાળા બાળકોના માતા-પિતાઓને તેમના બાળકોને સ્કૂલ મોકલવા માટે પ્રેરિત કરવા બદલ શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રવેશ લઈ રહેલા બાળકોને એજ્યુકેશન કિટ તથા ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા.
પ્રારંભમાં શાળામાં નવા પ્રવેશ લઈ રહેલા બાળકોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શોભાયાત્રામાં પારંપારિક વાદ્ય જેવા કે, તારપા, તૂર, ડાંગી નૃત્ય વગેરેથી સમગ્ર કાર્યક્રમ ખુબ જ રોચક બન્યોહતો. ટ્રેક્ટરમાં સવાર રંગબેરંગી ટોપીઓ પહેરેલા અને સુંદર પરિધાનોમાં સજ્જ બાળકો આકર્ષક લાગી રહ્યા હતા. આજે પ્રશાસકશ્રીએ પૂર્વ પ્રાથમિક, ધોરણ 1 અને આંગણવાડીમાં 316 જેટલા નવા નામાંકિત બાળકોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવનારી બે વિદ્યાર્થીનીઓને પણ સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી. સહિત સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.