સંઘપ્રદેશના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા કરાયેલી પહેલ : બનાસ ડેરીમાં પ્રશિક્ષિત થયા બાદ દુધના ઉત્પાદન તથા દુધાળા ઢોરની લેવાતી કાળજીની પણ મેળવશે સમજણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.ર4
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીનાઆદિવાસીઓને ગીર ગાય અને દુધાળા ઢોર આપવાની યોજના બનાવી છે અને આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભ પણ લેવામાં આવી રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની યોજનાને અસરકારક રીતે સાકાર કરવા દાનહના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા પશુપાલકોને ગાય તેમજ દુધાળા ઢોરની જાળવણી તેમજ દુધની ઉત્પાદક્તામાં વધારો લાવવા રખાનારી જરૂરી કાળજીના પ્રશિક્ષણ માટે બનાસકાંઠા ડેરીના સહયોગથી ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા આજે દાનહના પશુપાલકોએ બનાસકાંઠા પ્રસ્થાન કર્યુ હતું.
જે અંતર્ગત પશુપાલકોને ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમ દરમિયાન રહેવા, જમવા, ખાવા-પીવાની વ્યવસ્થા સાથે મફત બસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આજે સવારે 11.00 વાગ્યે દાનહના જિલ્લા કલેક્ટર ડો.રાકેશ મિન્હાસના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખના દિશાનિર્દેશથી વેટરનરી ઓફિસર ડો.વિજય પરમાર, એસ.સી./એસ.ટી.કોર્પોરેશનના સિનીયર મેનેજર શ્રી અંબિકા સિંઘે તમામ પશુપાલક ભાઈઓ અને બહેનોને વિધિવત પૂજન કરી બસ દ્વારા બનાસકાંઠા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તમામ ભાઈઓ અને બહેનો સરકાર દ્વારા કરાયેલી પહેલનો યોગ્ય લાભ લઈ તાલીમ લીધા બાદ તેઓ દાદરા નગર હવેલીના અન્યખેડૂતોને તેમના દુધાળા પશુઓ ઉછેરવા માટે પણ યોગ્ય સમજણ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.