(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 :દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્યાએથી ભગવાન શ્રી જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર યાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રાની શરૂઆત ઉપસ્થિત અતિથિઓના હસ્તે પૂજા અર્ચના અને આરતી કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રથ યાત્રા જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી જેનું પ્રસ્થાન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીના હસ્તે આરતી કરીને કરવામાં આવ્યું હતું.
બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલ્ચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રોકાઈ હતી. સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી રથયાત્રા જે બાલદેવીથી નીકળી સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાઈ હતી. જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમાં લઈ જવાઈ હતી. આ રથયાત્રામાં ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવિક ભક્તોમાં રથયાત્રા દરમ્યાન અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.