(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયતમાં આવતા વાઘછીપા ગામના રોડની જર્જરિત હાલતને લઈ આખા વર્ષ દરમ્યાન તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં ન તો મરામત કરવામાં આવી કે નહીં નવીનીકરણ કરાયું. હજુ સુધી ખાડા પણ પુરવામાં નથી આવ્યા જે સંદર્ભે પાલિકા સભ્ય શ્રી સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયતના સભ્ય પ્રવિણભાઈ ઉર્ફે લાલાભાઈ પટેલ અને એમની ટીમે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીમા રોડની હાલત ખુબ જ ખરાબ છે જે ઘણા વર્ષો પછી આવી પરિસ્થિતિ મળી રહી છે. પ્રશાસન દ્વારા કેટલાક રોડો બનાવવામાં આવી રહ્યા છે જેમાં ખાનવેલથી દૂધની, ખાનવેલથી માંદોની સિંદોની બેડપા અને ખડોલી ખાનવેલના રોડનું કામ ચાલી રહ્યું છે જે ખુબ જ સરાહનીય છે.
સામરવરણી પંચાયતના વાઘછીપા ગામનો મુખ્ય રોડ જે ડોકમરડીથી પસાર થઈવાઘછીપા થઈને ગુજરાત રાજ્યના કરમખલ, ચિભડકચ્છ, તંબાડી જેવા ગામડાઓ સાથે જોડાય છે. આ રોડ પર લોકો રોજીંદા વ્યાપાર-કામધંધાર્થે અવર-જવર કરી રહ્યા છે. આ રોડ છેલ્લા કેટલાયે સમયથી ખુબ જ જર્જરિત હાલતમાં છે જે ગત ચોમાસામાં લોકોને ઘણી જ તકલીફોનો સામનો કરવા પડયો હતો. હાલમાં બીજું ચોમાસુ છે અને આ રોડ ઉપર મોટા મોટા ખાડાઓ છે. આ રોડના નવીનીકરણ માટે સામરવરણી પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ કલેક્ટર અને પીડબ્લ્યુડી વિભાગના મુખ્ય કાર્યપાલક ઈજનેર રોડ વિભાગ, જિલ્લા પંચાયત અને સામરવરણી પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલ જેના અનુસંધાનમાં આ રોડની બે વખત કલેક્ટર સહીત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી જલ્દીથી જલ્દી રોડ બનાવવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.પરંતુ હજી સુધી રોડ બન્યો નથી અને આજદિન સુધી ખાડા પણ પુરાયા નથી. હવે ખાડાઓ જેમના તેમ હોવાથી રોડની હાલત ચોમાસામાં ઔર બદતર થશે એમાં કોનો વાંક?