હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી જગન્નાથ બલભદ્ર અને બહેન સુભદ્રાના લીધેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ભગવાન શ્રી જગન્નાથની છઠ્ઠી ભવ્ય શોભાયાત્રા આજે દમણ શહેરમાં ભ્રમણ માટે નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભગવાન શ્રી જગન્નાથના રથને ખેંચી ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના આશીર્વાદ લેવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. લોકો ભગવાન શ્રી જગન્નાથના દર્શન અને રથને ખેંચવા માટે ખુબ ઉત્સાહી હતા.
આજે સવારે જલારામ મંદિરમાં મંગળાઆરતી બાદ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથ ઉપર ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે રથ ઉપર સવાર થઈ શહેર ભ્રમણ કર્યું હતું.
દમણમાં ત્રણ બત્તી સ્થિત જલારામ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા દમણ વિદ્યુત વિભાગ કાર્યાલય થઈ ચાર રસ્તા ટેક્ષી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડથી ધોબી તળાવ એકતા ગાર્ડન થઈ પરત જલારામ મંદિરફરી હતી. ત્યારબાદ હજારો ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રથયાત્રામાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, યુવા ભાજપ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો જોડાયા હતા.
આ યાત્રાની આગેવાની 108 કળશ સાથે મહિલાઓએ કરી હતી.