-
કથાકાર મેહુલભાઈ જાનીના મુખેથી સતત સાત દિવસ સુધી શિવમય બનેલું મોટી દમણ
-
ભગવાન શિવની 51 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના માટે દાતાઓએ આપેલું ઉદાર હાથે દાન
-
કથા આયોજકો દ્વારા કથાકાર મેહુલભાઈ જાની અને કથામાં આયોજનમાં મદદ કરનાર સૌનું સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 26
મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી શિવ કથાને ભગવાન શિવના જયઘોષ સાથે આજે વિરામ આપવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીની ભાવવાહી વાણીમાં શિવ કથાના માધ્યમથી સમગ્ર વિસ્તાર સાત દિવસ સુધી શિવમય બની ગયો હતો.
આજરોજ કથકાર શ્રી મેહુલભાઈ જાનીએ કથાને વિરામ આપતા ખુબ જ ભાવુક બની જણાવ્યું હતું કે 35 વર્ષની ઉંમરમાં આ તેમની ર03મી કથા છે પરંતુ આજ સુધી તેમણે ભગવાન શિવના પ્રિય સ્થળ એવા સ્મશાનભૂમિમાં શિવકથા કરવાનો પ્રથમ અવસર મળ્યો હતો.
કથાકાર મેહુલ જાનીએ કથાના આયોજકોની સાથે સતત સાત દિવસ સુધી શિવ કથાનું શ્રવણ કરનાર શિવભક્તોને પ્રણામ કર્યા હતા. તેમણે દક્ષિણામાં માત્ર એક જ વસ્તુ માંગતા જણાવ્યું હતુંકે, આવતીકાલે તમે બધા પોતપોતાના ઘરમાં દીવો પ્રગટાવી અને ભગવાન શિવ પાસે મારા માટે એટલું જ માંગજો કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું ભગવાન શિવની ે આ રીતે પૂજા-અર્ચના કરતો રહીશ. આજે હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિના સભ્યોએ કથાકાર શ્રી મેહુલભાઈ જાની અને કથાના આયોજનમાં મદદ કરનાર તમામનું સન્માન કર્યું હતું.
આજની કથામાં દમણ નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી અરૂણકુમાર સપત્નીક, વોર્ડ નં.6ના કાઉન્સિલર શ્રી જસવિંદર ચંડોક પણ હાજર હતા. આજે કથાના વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રના કિનારે આવેલા હિન્દુ સ્મશાન ભૂમિમાં 12 ફૂટ ઉંચા ફાઉન્ડેશનની ઉપર ભગવાન શિવની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવા માટે જે ખર્ચ થશે તેના લાભાર્થે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી અનેક દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું છે. મૂર્તિની સ્થાપના થાય ત્યાં સુધી હિંદુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા દાન સ્વીકારવામાં આવશે. શિવરાત્રિ પહેલા એટલે કે 1લી માર્ચ 2022 પહેલા ભગવાન શિવની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.