દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ હું કૌભાંડીઓને છોડીશ નહીં
અને ઉમરગામ તાલુકાના રાજકીય આગેવાનોનો સંકલ્પ અમે કૌભાંડ છોડીશું નહીં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: સંજાણ રેલવે ઓવરબ્રિજમાં પ્રથમ વરસાદે ગાબડા પડવાની બનેલી ઘટના બાદ સમારકામની કામગીરી ચાલુ છે અને અવરજવર માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરીમાં લાપરવહી દાખવવામાં આવી છે એ પ્રથમ નજર સાબિત થાય છે. હવે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ડાયવર્ઝનનો મુદ્દો વિકટ બની ગયો છે. જવાબદાર વિભાગ, ઠેકેદારો અને રાજકીય આગેવાનોની સાંઠ ગાંઠ સામે પ્રજા લાચાર છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસી રહેલા વરસાદમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉભો કરવામાં આવેલા માર્ગ ઉપર ત્રણથી ચાર અકસ્માત થતાં જોખમી અને અસુરક્ષિત હોવાનું વાહન ચાલકોએ અનુભવ્યું છે. રજૂઆત કરનાર પ્રજાએ આગેવાનોની ધમકી સહન કરવા પડી રહી છે.
સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં સર્વિસ રોડનો મુદ્દો ઉમેરાયો છે. બ્રીજના નિર્માણની કામગીરી કરનાર ઠેકેદારે સર્વિસ રોડ બનાવ્યો જ નથી. આવી જ ઘટના ઉમરગામ એલસી ગેટ પાસે બનવા પામી છે. ઉમરગામ ખાતે જાગૃત પ્રજાએ ભારે ઉહાપોહમચાવતા સર્વિસ રોડના ઠેકેદારે ઉપસ્થિત થવું પડ્યું હતું. એમણે આપેલી માહિતી અને ટેન્ડર જોતા આ કામગીરી રૂપિયા નવ કરોડના ખર્ચે છ મહિનામાં પૂર્ણ કરવાની શરત હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે આરવી એન્ટરપ્રાઈઝ નામના સ્થાનિક પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી હોવાનું જણાવી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં પણ રાજકીય આગેવાનો દ્વારા ઠેકેદારોની આરતી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત બીજી એક ઘટના નિર્માણ થઈ રહેલી રેલવે ટ્રેકમાં માટી પુરાણની સામે આવી છે. માટીના પ્રકાર જોતા ટેકનિકલ રીતે કાળી માટી રેલવે ટ્રેકમાં પુરાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી નથી છતાં પણ માટી પુરાણના સ્થાનિક ઠેકેદારોએ તળાવની માટી વાપરી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આ માટીનુ પ્રથમ વરસાદે જબરજસ્ત ધોવાણ થઈ ધસી પડી છે અને રેલ્વે ટ્રેકના કિનારા સુધી માટીનું ધોવાણ થતાં એને સંતાડવા માટે પ્લાસ્ટિક અને તાડપત્રીનું આવરણ લગાવી બેદરકારીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ રાજકીય આગેવાનોનો હાથ હોવાનું નકારી શકાતું નથી.
ઉમરગામ તાલુકામાં નિર્માણ થયેલા રોડો, ઓવરબ્રિજ, અંડર બ્રિજ સહિતની વિકાસની કામગીરીથી પ્રજા પરિચિત છે. પ્રથમ વરસાદે ધોવાણ થતામાર્ગો ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે. એથી વધુ ઉમરગામ તાલુકામાં ઘણા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પરંતુ કામગીરી થવા પામી નથી. ખાતમુહૂર્ત સમયે ઉપસ્થિત રાજકીય આગેવાન નિર્માણ થનારા માર્ગનું રૂપરેખા રજૂ કરતા કઈ ગ્રાન્ટમાંથી, કેટલા ખર્ચે, માર્ગની લંબાઈ અને પહોળાઈ તેમજ કોન્ટ્રાક્ટરનું નામ વગેરે જાહેર કરે છે અર્થાત ટેન્ડરની પ્રક્રિયા અને પ્રથમ તબક્કાની ખર્ચની ચુકવણી કરી હોય એવું સાબિત થાય, પરંતુ આવા કેટલાઓ માર્ગ ખાતમુહૂર્ત પછી બનવા પામ્યા નથી. તાલુકાની પ્રજાએ એની પણ નોંધ લેવી જરૂરી છે. આમ સંજાણ અને ઉમરગામ બ્રિજનો નહિ બનાવવામાં આવેલો સર્વિસ રોડ ઉમરગામ તાલુકા માટે નવું નહિ હોવાનું પ્રજા વિચારી રહી છે.