-
રોગી કલ્યાણ સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
-
વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં પ્રદેશના ડોમિસાઈલ ધારકો અને આદિવાસીઓને રૂમની ફાળવણીમાં અગ્રતા આપવા રજૂ કરેલો પ્રસ્તાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સેલવાસની રોગી કલ્યાણ સમિતિએ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચેરમેન દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે પ્રદેશના આગેવાન ધારાશાષાી અને યુવા નેતા શ્રી સની ભીમરાએ અનેક મહત્વની રજૂઆતો કરી હતી.
શ્રી સની ભીમરાએ જીવલેણ બિમારીઓના ઈલાજ માટે મુંબઈ અને સુરતના નિષ્ણાતડોક્ટરોને એંગેજ કરવા જણાવ્યું હતું. તેમણે કેન્સર સહિત અન્ય જીવલેણ ભયાનક બિમારીઓના ઈલાજ અને નિદાન માટે મહિનામાં બે થી ત્રણ વખત આવી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા ભાર આપ્યો હતો.
યુવા નેતા શ્રી સની ભીમરાએ રોગી કલ્યાણ સમિતિને જીવલેણ બિમારી અને તેના નિદાનના સંદર્ભમાં આફટર કેર ટ્રીટમેન્ટ માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના ઈનહાઉસ ડોક્ટરો અને સ્ટાફ માટે તાલીમ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જેનેરિક દવાઓના પ્રોત્સાહન માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં થતી રૂમોની ફાળવણીમાં પ્રદેશના ડોમિસાઈલ ધારકો અને આદિવાસી દર્દીઓને અગ્રતા મળવી જોઈએ.
શ્રી સની ભીમરાએ હોસ્પિટલ માટે ખરીદાતી દવાઓ અને સાધનો માટે રોગી કલ્યાણ સમિતિએ મેક્સિમમ રિટેલ પ્રાઈસ(એમ.આર.પી.)ના બદલે અસરકારક ખરીદી વ્યવસ્થાપન માટે ડિલરો પાસેથી જથ્થાબંધ દરે દવાઓ, સાધનો ખરીદવા પોતાનું સૂચન રજૂ કર્યું હતું.
યુવા નેતા શ્રી સની ભીમરાએ રોગી કલ્યાણ સમિતિ સામાન્ય લોકોને પુરી પાડવામાં આવતી તમામ સારવાર સુવિધાઓના દર દરેકને જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવા પણ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યોહતો.