સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ અને બાળકોના વિરૂદ્ધ ગુનાની તપાસ અને રોકથામ માટે અપનાવેલી ‘નો ટોલરન્સ’ નીતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળનેતૃત્વમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસ અને રોકથામમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે દેશમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં ચાલી રહેલા સર્વે મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસના પ્રયાસોને ધ્યાનમાં રાખીને, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઉકેલવાના પરિમાણોમાં 98.30 ટકા (તપાસ પૂર્ણ અને ચાર્જશીટ દાખલ) મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ITSSO(જાતીય ગુનાઓ માટે તપાસ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલ મુજબ 83.4 ટકા અનુપાલન દર (જ્યાં તપાસ પૂર્ણ થાય છે અને 02 મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે) હાંસલ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં ફોજદારી કાયદો (સુધારો), 2018 અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો અને મહિલાઓ અને બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે તેમની સામે આચરવામાં આવેલા ગુનાઓની સજામાં ગંભીર વધારો કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત સુધારા મુજબ, બળાત્કાર અને પોક્સો કાયદા હેઠળના ગુનાઓની તપાસ 02 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. આ સુધારો બાળકો અને મહિલાઓસામેના ગુનાઓ અટકાવવા અને તપાસ અને ટ્રાયલ સમયસર પૂર્ણ કરવા પ્રત્યે સરકારની સંવેદનશીલતા અને પ્રામાણિકતા દર્શાવે છે.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે ઉપરોક્ત સુધારા સાથે કાયદાનો સંપૂર્ણ અમલ કર્યો છે.