પ્રકૃતિના નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક પૂજાવિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરવામાં આવી હતી. આ દેવની પૂજાનું માહાત્મ્ય પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે પહેલા વરસાદનું આગમન થાય છે અને નવા નવા પ્રકારના ઘાસના-વૃક્ષોના અંકુરો ફૂટી નિકળે છે તે દરમ્યાન પ્રકૃતિ લીલોતરીનું ખુબ સુંદર રુપ ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિના નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક પૂજાવિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.
આદિવાસી સમાજ મોટાભાગે જંગલ વિસ્તારમાં રહીને પશુપાલન સાથે સંકળાયેલો છે. આદિવાસી સમાજ પોતાના ઢોરઢાંખરને પોતાના સભ્યોની જેમ જ રાખે છે. તેઓ આખા વર્ષ દરમિયાન ઢોરઢાંખરનું આરોગ્ય જળવાઈ રહે, ઢોરઢાંખરમાં કોઈ રોગ કે બિમારી ન આવે તેના માટે ખાસ પ્રકારની વનસ્પતિઓ જંગલમાંથી લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર પીવડાવવામાં કે છંટકાવ કરવામાં આવે છે. એટલે કે ઢોરઢાંખરની સારા તંદુરસ્તી માટે નાંદરવા દેવની પૂજા કરવામાં આવે છે.
દરમિયાન ખેતરોમાં ઊગેલા નવા ધાન્ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે ગામના લોકો ભેગા મળીને ગામમાં ખેતીકામમાં વર્ષ દરમિયાન મજૂરીના દર પણ નક્કી કરતા હોય છે.