ન.પા. પ્રમુખ અસ્પી દમણિયાએ દુકાનદારો તથા લોકોને જાહેરમાં ગમે ત્યાં કચરો નહીં ફેંકવા આપેલી સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા અને ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘે આજે ‘દમણ નગરપાલિકાના આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત નાની દમણ ખાતે વોર્ડ નંબર 4ના ઘાંચીવાડ વિસ્તારમાં તેમની ટીમ સાથે સમસ્યાઓનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે સ્થળ પર જ સમસ્યાઓનું નિરાકરણ કરતાં ઉપસ્થિત લોકોને ખાતરી આપી હતી કે, બાકીના પ્રશ્નો પણ ટૂંક સમયમાં હલ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ નગરપાલિકામાં શ્રી અસ્પી દમણિયા પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત ‘ન.પા.ના આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દર આજે મંગળવારે શહેરના બે વોર્ડમાં જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જનતાની સમસ્યાઓ જાણીને તેનો ઉકેલ લાવવાનોછે. ગયા મહિને શરૂ થયેલા આ અભિયાનને જનતા પસંદ કરી રહી છે. મંગળવારે દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, પાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘ, પાલિકાના કર્મચારીઓ, સુપરવાઈઝર અને સફાઈ કર્મચારીઓ સાથે ઘાંચીવાડમાં વિવિધ સમસ્યાઓનો તાગ મેળવ્યો હતો.
આ દરમિયાન ઘાંચીવાડના લોકોએ જણાવ્યું હતું કે, ગટરના પાણી રોડ પર વહી જવાને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે, આ સાથે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ચાલી રહી હોવા છતાં કેટલાક લોકો પોતાની દુકાનો અને ઘરો આગળ કચરો ફેંકે છે. જેના કારણે ત્યાં ગંદકી રહે છે. સ્થળ પર જ પાલિકા પ્રમુખે સફાઈ કર્મચારીઓને ગંદકી સાફ કરવા સૂચના આપી હતી અને ગંદકી ફેલાવનારા લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન શ્રી અસ્પી દમણિયાએ વોર્ડ નં.4ના લોકોને અપીલ કરી હતી કે તેઓ પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખે અને તેમની સમસ્યાઓ અંગે નગરપાલિકાના વહીવટીતંત્રને જાણકારી આપી, જેથી સમયસર સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય.