-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 8 વર્ષથી કરેલી મથામણ અને ગરીબોને ગળે લગાવવાના પુરુષાર્થના આકલનનો અવસરઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
-
અત્યાર સુધી સંઘપ્રદેશના 4000 જેટલા ખેડૂત લાભાર્થીઓને કુલ રૂા.27 કરોડનું કરાયેલું વિતરણ
-
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કુલ 2900 કરોડ રૂપિયાનો મળેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આજે દમણના સ્વામી વિવેકાનંદ સભાખંડમાં પ્રદેશ સ્તરીય ‘ગરીબ કલ્યાણ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાંઆયોજીત પ્રદેશ સ્તરીય સમારંભમાં લગભગ 4000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશની ત્રણેય જિલ્લા પંચાયતો, નગરપાલિકાના પ્રમુખો અને ઉપ પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતોના સરપંચો, નગરપાલિકાના કાઉન્સિલરો, ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો, ઉદ્યોગપતિઓ, હોટેલરિયનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે આખા દેશમાં ગરીબોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમો થઈ રહ્યા છે જે એક ઐતિહાસિક છે. કારણ કે, આ પ્રકારના કાર્યક્રમો ક્યારેય પણ થયા નથી. આજના કાર્યક્રમનું વિશેષ મહત્વ પણ એટલા માટે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 8 વર્ષથી કરેલી મથામણ અને ગરીબોને ગળે લગાવવા કરેલા પુરુષાર્થના પ્રત્યક્ષ અને પરોક્ષ મોનિટરિંગનો પણ છે. તેમણે જણાવ્યું હતું કે, શાસનની વ્યવસ્થા શાના માટે અને કોના માટે છે? શાસનની વ્યવસ્થા હંમેશા પ્રજાના કલ્યાણ માટે હોય છે અને તેથી ભારત સરકારની યોજનાઓની સાથે સાથે 47 જેટલી યોજના પ્રશાસન દ્વારા પણ કાર્યાન્વિત કરવામાં આવી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ યોજના અંતર્ગત આજે સંઘપ્રદેશના18હજાર જેટલા ખેડૂત લાભાર્થીઓને કુલ 3.60 કરોડ રૂપિયા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે અને આ યોજના અંતર્ગત અત્યાર સુધી સંઘપ્રદેશના ખેડૂત લાભાર્થીઓને કુલ રૂા.27 કરોડનું વિતરણ થઈ ચુક્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશમાં વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વાર્ષિક રૂા.575 કરોડ વિતરણ કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સંઘપ્રદેશમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કુલ રૂા.2900 કરોડ વિતરિત કરાયા હોવાની માહિતી આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દાદરા નગર હવેલી જિલ્લાના લાભાર્થીઓની એક ટીમ બનાસકાંઠાના પાલનપુર જિલ્લાની બનાસ ડેરી ખાતે અભ્યાસ માટે ગઈ છે જ્યાં તેમને ગીર ગાયોના લાલન-પાલન ઉપર પ્રશિક્ષિત કરાશે. આજે 850 જેટલા પરિવારો સફળતાપૂર્વક ગીર ગાયનું પાલન કરી રહ્યા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પારદર્શક અને સમયબધ્ધ રીતે ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમણે ભારત સરકાર અને પ્રશાસનનું કેન્દ્રબિંદુ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ હોવાથી સમાજના છેવાડેના લોકોનાસર્વાંગી વિકાસ તરફ લક્ષ કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
પ્રારંભમાં સંઘપ્રદેશમાં કાર્યાન્વિત વિવિધ યોજનાઓ દર્શાવતો લઘુવિડિયો પ્રદર્શિત કરાયો હતો. જેમાં લાભાર્થીઓના અનુભવો જણાવાયા હતા. આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા પરિવર્તનની જાણકારી પણ આપી હતી. તે પૈકી એક લાભાર્થીએ ‘આયુષ્માન ભારત યોજના’ અંતર્ગત તેમને મળેલા નવજીવન બદલ પ્રધાનમંત્રી અને પ્રદેશના પ્રશાસકશ્રીનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયા, દમણ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સેલવાસ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ મીરામાર, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, દાનહના ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.