(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2023 નો સ્વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં તા.27 મી જુલાઈ, 2023 ના રોજ યોજવામાં આવ્યો હતો.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને જાતે સ્થળ મુલાકાત લઈને પ્રશ્નોનો નિકાલ કરવા માટે તાકીદ કરી હતી. આ કાર્યક્રમમાં ગત માસના 9 અરજદારોએ તેમના પડતર પ્રશ્નો અને ચાલુ માસના 28 અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. અને આ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય રજૂઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકળત બાંધકામ અને દબાણ દૂર કરવા, વરસાદી પાણીનો નિકાલ, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્ન, ખેડૂત ખરાઈ અંગે, 7/12 ના કોમ્પ્યુટરાઈઝડ રેકોર્ડમાં સુધારણા, થ્રી ફેઝ વીજ પુરવઠો, નિવૃત્તિ પછીના મળવાપાત્ર પેન્શન તથા અન્ય લાભો મળવા બાબત, જમીન નામે કરવા અંગેના, અટક ફેરફાર અંગેના, ડ્રેનેજ લાઈનના અને બેન્કિંગ ક્ષેત્રને લગતાપ્રશ્નો રજૂ કરાયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રોબેશનરી આઈ. એ. એસ. નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝા, દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી ઋષિરાજ પુવાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકો સર્વ એ. કે. વર્મા અને બી. એન. દવે, પારડીના પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન. એન. પટેલ, તથા વલસાડ, પારડી, ધરમપુર, વાપી અને ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.