..એટલે જ દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામનો ભારતીય સ્વાતંત્ર્ય યુદ્ધમાં વિચાર કરતી વખતે જ દાદરા નગર હવેલીના રાજકીય ઇતિહાસની સાથે જ પંદરમી સદીમાં યુરોપમાંથી શરૂ થયેલા વૈશ્વિક આક્રમણના સંદર્ભનો વિચાર થવો પણ આવશ્યક છે
(…ગતાંકથી ચાલુ)
ઈ.સ. 1930માં સિલવાસાની શાળામાં કાર્લાસ ડી ક્રુઝ નામના શિક્ષકની નિમણૂક થઈ. ગોવામાં થઈ રહેલું પરિવર્તન તેણે જોયું અને અનુભવ્યું પણ હતું. સિલવાસામાં તેની નિમણૂક થયા પછી તેણે ‘સંડાલકાલો’ નામનું રાજકીય મુખપત્ર શરૂ કર્યું. દમણગંગા નદીને પોર્ટુગીઝ ભાષામાં ‘સંડાલકાલો’ કહે છે. આ મુખપત્રમાં તે ભ્રષ્ટ અને અકાર્યક્ષમ સરકાર પર ટીકાત્મક લેખો લખતો. તેનાં આ લખાણોને કારણે 29 સપ્ટેંબર 1932ના રોજ તેને દેશદ્રોહી જાહેર કરીને તેની હકાલપટ્ટી કરવામાં આવી. છતાં ગોવાના દેશપ્રેમી લોકોનાસહકારથી તેણે તેની ચળવળ ચાલુ રાખી. નગર હવેલીમાં પોર્ટુગીઝ સૈનિકો, પ્રશાસન અધિકારી અને જમીનદારો મળીને વારલી સમાજનું અને બીજા અન્ય વનવાસીઓનું જે શોષણ કરતા હતા તેની વિરૂદ્ધ તેણે ઘણા લેખો લખ્યા અને સ્થાનીય સમાજનો સહકાર મેળવ્યો. પરંતુ આગળળ જતાં પૂરતા અનુયાયીઓના અભાવને કારણે આ ચળવળ ધીમે ધીમે બંધ પડી અને 1932માં જ કાર્લાસ ડી. ક્રુઝને હદપાર થવું પડયું. તે પછી 1954 સુધી દાદરા નગર હવેલીના સ્વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્ન થયો નહીં.
પ્રજાની આ સંરક્ષણાત્મક અવસ્થા માટે મહદંશે પોર્ટુગીઝોના ભયંકર અત્યાચારો કારણરૂપ હતા. આ અત્યાચારોની વિશેષતા એ હતી કે તેમણે પોતાના આધિપત્ય હેઠળના લોકોને હંમેશાં દહેશતમાં રહેવા માટે મજબૂર કર્યા. તેમને માટે આક્રમક ભૂમિકા લેવાની કોઈ શક્યતા જ નિર્માણ થવા દીધી નહીં. મિશનરીઓની મદદથી ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક એમ દરેક ક્ષેત્રે તેમણે આચરેલા અત્યાચારો માનવીય ઇતિહાસમાં કલંકરૂપ સિદ્ધ થાય તેવા છે. તેમનાં આ આક્રમણો અને અત્યાચારોની કારણમીમાંસા અથવા પરિણામોનો વિચાર કરીએ તો પંદરમી સદીમાં શરૂ થયેલું આ આક્રમણ આજે પણ ચાલુ જ છે તેમ કહી શકાય. એટલે જ દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામનોભારતીય સ્વાતંત્ર્ય યુદ્ધમાં વિચાર કરતી વખતે જ દાદરા નગર હવેલીના રાજકીય ઇતિહાસની સાથે જ પંદરમી સદીમાં યુરોપમાંથી શરૂ થયેલા વૈશ્વિક આક્રમણના સંદર્ભનો વિચાર થવો પણ આવશ્યક છે.
(ક્રમશઃ)