-
ખાનવેલ, રૂદાના, ખેરડી, આંબોલી, સુરંગી અને દપાડા પંચાયતના ઘરવિહોણાં બનેલા લોકો માટે જે તે પંચાયત વિસ્તારમાં આવેલા આરોગ્ય અને આંગણવાડી કેન્દ્રોમાં કરાયેલી રહેવા અને રાહતની વ્યવસ્થા
-
પ્રશાસને અસરગ્રસ્ત લોકોના ઘરોનું શરૂ કરેલું સર્વેક્ષણઃ નીતિ-નિયમ પ્રમાણે નાણાંકીય સહાય પણ પુરી પડાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત બનેલા ખાનવેલ, રૂદાના, ખેરડી, આંબોલી, સુરંગી અને દપાડા પરિવારના લગભગ 500 કરતા વધુ લોકોને સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતા અને માનવતાનો પરિચય આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.27મી જુલાઈના રોજ વરસેલા અતિ ભારે વરસાદના કારણે ખાનવેલ, રૂદાના, ખેરડી, આંબોલી, સુરંગી અને દપાડા પંચાયતના 240 કરતા વધુ પરિવારો અસરગ્રસ્ત બન્યા હતા. જે પૈકીના ઘણાં લોકોના પૂરમાંપોતાના ઘરો પણ ધોવાઈ જવા પામ્યા છે અને ઘરવિહોણાં પણ બન્યા છે.
દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને તાત્કાલિક ખાનવેલ, તલાવલી, ખડોલી, ચિસદા, માંદોની, રૂદાના અને કરચોંડ ખાતે આવેલ પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં રાહત અને રહેઠાણની વ્યવસ્થા કરી છે અને દરેક રાહત અને રહેઠાણ કેન્દ્રના નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરી અસરગ્રસ્ત લોકોને પાયાની સુવિધા જેવી કે પીવાનું પાણી, ભોજન અને રહેઠાણ તથા મેડિકલ સુવિધા યોગ્ય રીતે મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને અસરગ્રસ્ત પરિવારોને ઘઉંનો લોટ, ચોખા, દાળ, ખાવાનું તેલ, મીઠું, મરી-મસાલા તથા નાહવાના સાબુની સાથે દરરોજ ઉપયોગમાં લેવાતા ધાબળા, ગોદડા, ડોલ, ટમ્બલર, સાબુ, ટૂથપેસ્ટ અને બ્રશ, કપડાં ધોવાનો પાવડર, મચ્છરદાની, સેનેટરી પેડ, બેબીકેર કીટ, ટોર્ચ, ટોવેલ, મીણબત્તી અને સાદડી જેવી વસ્તુઓની કીટ પણ આપવામાં આવી રહી છે અને જે પરિવારો બાકી રહ્યા છે તેમને પણ મોજણી કરી વિતરીત કરવામાં આવશે.
જિલ્લા પ્રશાસને અસરગ્રસ્ત પંચાયતોના દરેક ઘર દીઠ થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે એક સર્વે પણ શરૂ કર્યો છે. જેમાં નાગરિકોને સર્વે ટીમને સાચી માહિતી આપવા પણ વિનંતી કરાઈ છે. પ્રશાસનઅસરગ્રસ્ત પરિવારોને યોગ્યતાના આધારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની માર્ગદર્શિકા પ્રમાણે નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન ચોવીસ કલાક કટોકટીની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાર્યક્ષમ હોવાની પ્રતિતિ પણ આ સંકટની ઘડીએ કરાવી છે.