સરીગામના સપૂત અને સ્વતંત્ર સેનાની સ્વ.પાનાચંદ તલકચંદ શાહ અને સ્વ.રામચંદ્ર હરિહર ભટ્ટે આઝાદીની લડાઈમાં આપેલા યોગદાનબદલ યાદ કરી એમના પરિવારોનું કરવામાં આવેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતની આગેવાની અને તલાટી કમ મંત્રી શ્રી વિરલભાઈ પટેલના સંચાલન હેઠળ આદર્શ બુનિયાદી શાળા સરીગામ અને પ્રાથમિક શાળા ભંડારવાડ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિટ્ટી કો નમન વીરો કો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતના હસ્તે દેશભક્તોની સ્મૃતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી ધ્વજ વંદનના કાર્યક્રમ સાથે દેશને સ્વતંત્રતા અપાવનારા વીરોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરીગામના સપૂત અને આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વતંત્ર સેનાની સ્વ.શ્રી રામચંદ્ર હરીહર ભટ્ટ અને સ્વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહને યાદ કરી એમના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહના પુત્ર શ્રી લલીતભાઈ શાહ અને પૌત્ર ડોક્ટર નીરવભાઈ શાહને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. અને સ્વ.શ્રી રામચંદ્ર હરિહર ભટ્ટના પરિવારને એમના નિવાસસ્થાને સન્માનપત્ર પહોંચતું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ પટેલ, સરીગામના આગેવાન શ્રીરાકેશભાઈ રાય, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાગડા, ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ લઘુમતી મોરચા મંત્રી શ્રી અસલમભાઈ સહિત શાળાના શિક્ષકગણ અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.